(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૪
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવતી કાલે ૫મી જાન્યુઆરીના રોજ હોસ્પિટલના હેલ્થ વર્કરો માટે કોવિડ -૧૯ વેક્સિનેશન માટે ડ્રાય રન યોજાશે. જેમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશન અને અમદાવાદ સિવિલ હોસ્પિટલની ટીમ રૂબરૂ હાજર રહીને સમગ્ર પ્રક્રિયા હાથ ધરશે. આવતીકાલે સવારે ૧૧ થી બપોરે ૧ વાગ્યા સુધીમાં સમગ્ર વેક્સિનેસન ડ્રાય રન એટલે કે કોરોના વેક્સિનનો પૂર્વાઅભ્યાસ હાથ ધરવામાં આવશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટરમાં વેક્સિનેટર તૈયાર કરવામાં આવ્યા છે જેમાં સમગ્ર ડ્રાય રનનું આયોજન થનાર છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ જે.વી.મોદીએ મીડિયાને જણાવ્યું હતુ કે સિવિલ હોસ્પિટલના મેડિકલ, નર્સિંગ, પેરામેડિકલ, સફાઇ કર્મીઓ મળીને ૭૦૦૦ જેટલા સ્ટાફમિત્રોને ભારત સરકાર દ્વારા નિર્ધારીત કરાયેલા નિયમ મુજબ અને રાજ્ય સરકારના દિશાનિર્દેશોનું ચુસ્ત પણે અમલીકરણ કરીને સમગ્ર રસીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સૌપ્રથમ વેક્સિનેસન માટેની ટીમો જૂથમાં વિભાજીત થઇને સરકાર દ્વારા તૈયાર કરાયેલ સોફ્ટવેરમાં નોંધાવામાં આવેલા હેલ્થકેર વર્કરના અગ્રતા ક્રમ પ્રમાણે તેઓનું વેક્સિનેસન કરવામાં આવશે. અગ્રતાક્રમની સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન સોફ્ટવેર દ્વારા સંચાલિત થઇ રહી છે. પ્રાથમિક તબક્કે શરૂઆતમાં કુલ ૨૫ હેલ્થકેર વર્કરોની ડ્રાય રન માટે પસંદગી કરવામાં આવી છે. એક વ્યક્તિને રસી આપવા ૨ થી ૩ મિનિટ જેટલો સમય લાગે છે. ત્યારબાદ રસી આપવામાં આવેલા વ્યક્તિને હોસ્પિટલ દ્વારા તૈયાર કરાયેલા અલાયદા રૂમમાં અડધાથી એક કલાક માટે આઇસોલેટ કરવામાં આવશે. જેમાં ટીમ દ્વારા સતત મોનીટરીંગ હાથ ધરવામાં આવશે. આ અલાયદા રૂમમાં દેખરેખ હેઠળ રાખવામાં આવેલ દર્દીમાં સ્વાસ્થ્ય લગતી કોઇપણ આકસ્મિક પરિસ્થિતિ સર્જાય ત્યારે સધન સારવાર અર્થે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.અતિગંભીર પરિસ્થિતિમાં અથવા વેક્સિનની કોઇપણ પ્રકારની આડઅસર જણાઇ આવે અથવા અન્ય પ્રકારની તબીબી અણધારી પરિસ્થિતિ સર્જાય તો વેક્સિન લેનાર વ્યક્તિને આઇ.સી.યુ.માં દાખલ કરવા સુધીની પણ વ્યવસ્થા સિવિલ તંત્ર દ્વારા કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રસીકરણ પહેલા આરોગ્ય મંત્રાલય દ્વારા દેશના ર૮પ સ્થળોએ પરીક્ષણ અને અભિયાનનો અભ્યાસ કરવામાં આવ્યો છે. આ પૂર્વાભ્યાસ તમામ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ૧રપ જિલ્લાઓમાં હાથ ધરવામાં આવ્યો હતો.