હુમલાખોરો અનેક રાયફલો સાથે અચાનક શહેરમાં ધસી આવ્યા અને અનેક સ્થળોએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું, ઘાયલ થયેલા લોકોમાં પોલીસ અધિકારીનો પણ સમાવેશ
(એજન્સી) અંકારા, તા. ૩
યુરોપિયન દેશ ઓસ્ટ્રિયાના પાટનગર વિયેનામાં છ સ્થળે થયેલા આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા સાત જણ માર્યા ગયા હતા અને ૧૫ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. કોરોના વધવાના પગલે લૉકડાઉન જાહેર કરાયો એના થોડા કલાકો પહેલાં આ હુમલો થયો હતો. હુમલો થયાના કેટલાક કલાકો બાદ ઓસ્ટ્રિયાના ચાન્સેલર સેબાસ્ટિયન કુર્ઝે કહ્યું હતું કે અમે આતંકવાદથી ડરવાના નથી. અમે વિયેનામાં ધિક્કારપાત્ર આતંકવાદી હુમલાનો ભોગ બન્યા છીએ. એક આતંકવાદીને ઠાર કરી દેવાયો છે પરંતુ બીજા આતંકવાદી હજુ સક્રિય હતા. ઓસ્ટ્રિયામાં મુંબઇની જેવા જ આતંકી હુમલા પછી ભારતમાં તેનું દૂતાવાસ ૧૧ નવેમ્બર સુધી બંધ રહેશે. આ જાણકારી ઓસ્ટ્રિયાના દૂતાવાસે આપી છે. સુરક્ષા કારણોના લીધે હાલ આમ કરવામાં આવ્યું છે. કુર્ઝે વધુમાં કહ્યું કે આતંકવાદીઓ પાસે લેટેસ્ટ શસ્ત્રો હતા. એના પરથી સમજાતું હતું કે એ લોકો કેટલી પૂર્વતૈયારી સાથે આવ્યા હશે. પોલીસે કહ્યું કે સ્થાનિક સમય મુજબ સોમવારે રાત્રે આઠ વાગ્યે હુમલાના પહેલા ખબર અમને મળ્યા હતા. પાટનગરના છ વિસ્તારોમાં ગોળીબાર થયા હતા. એક વિડિયો ક્લીપ વહેતી થઇ હતી જેમાં જોઇ શકાતું હતું કે હુમલાખોર લેટેસ્ટ શસ્ત્ર સાથે સડક પર આડેધડ ગોળીબાર કરી રહ્યો હતો. હુમલાનું કારણ હજુ સુધી જાણી શકાયું નુહોતું. ચાન્સેલર કુર્ઝે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે આ હુમલો યહૂદી વિરોધી હોઇ શકે. આ હુમલો એક યહૂદી ધર્મસ્થળ નજીક થયો હતો એટલે એમ માની શકાય કે યહૂદી વિરોધી હુમલો હતો. જો કે હુમલો થયો ત્યારે ધર્મસ્થળ બંધ હતું. ઓસ્ટ્રિયાના ગૃહ પ્રધાન કાર્લ નેહમરે કહ્યું કે લશ્કરને આદેશ આપી દેવામાં આવ્યો હતો કે મહત્ત્વનાં સ્થળોનું રક્ષણ કરવા પહોંચી જાય. તેમણે વિયેનાવાસીઓને કહ્યું હતું કે મંગળારે તમારાં બાળકોને સ્કૂલમાં મોકલતા નહીં. તમે પણ અનિવાર્ય કામ સિવાય ઘરમાં રહેજો. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં થયેલા આ આતંકી હુમલાની નીંદા કરતા શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે ભારત વિયેનાની સાથે છે. અને તેમણે પીડિત પરિવારો માટે સાંત્વના પણ વ્યક્ત કરી હતી. આ આતંકવાદી ઘટના એવા સમયે થઈ જ્યારે ઑસ્ટ્રિયામાં કોરોના વાઈરસના સંક્રમણે કાબૂમાં કરવા માટે એક વખત ફરીથી લૉકડાઉન લાગૂ કરવામાં આવી રહ્યું હતું. લોકડાઉન લાગૂ થયાની એક રાત પહેલા લોકો આઝાદીનો આનંદ માણી રહ્યાં હતા, ત્યારે જ આ હુમલો કરવામાં આવ્યો હતો. બીજી તરફ ઓસ્ટ્રિયાની રાજધાની વિયેના શહેરને ચારે તરફથી સીલ કરી દેવાયું છે અને હેલિકોપ્ટરો તથા અન્ય સાધનોની મદદથી હુમલાખોરોને શોધવામાં આવી રહ્યા છે. પાડોશી દેશોએ પણ સાવચેતીના ભાગરૂપે પોતાની બોર્ડરો સીલ કરી દીધી છે.