International

એર્દોગને કહ્યું હતું કે તુર્કી ઇઝરાયેલ સાથે વધુ સારા સંબંધો ઇચ્છે છે, પરંતુ ‘પેલેસ્ટીનની નીતિ એ અમારી લાલ રેખા છે’

 

(એજન્સી) રોઈટર,તા.૨૬
તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને કહ્યું કે તુર્કી ઇઝરાયેલ સાથે સારા સંબંધો ઈચ્છે છે અને બંને તરફથી ઉચ્ચ સ્તરે વાતચીત ચાલી રહી છે પણ એમણે ઇઝરાયેલની પેલેસ્ટીનીઓ બાબતની નીતિઓની ટીકા કરતા કહ્યું કે આ નીતિઓ અસ્વીકાર્ય છે. વ્યાપારિક સંબંધો મજબૂત હોવા છતાંય છેલ્લા થોડા વર્ષોથી બંને વચ્ચેના સંબંધો વણસેલ છે. જેના પરિણામે ૨૦૧૮ના વર્ષમાં રાજદૂતોની હકાલપટ્ટી કરી હતી. અંકારાએ વારંવાર ઇઝરાયેલના વેસ્ટબેંક ઉપર કરાયેલ કબજા અને પેલેસ્ટીનીઓે સાથે કરાયેલ વર્તનની ટીકા કરી છે. અર્દોગને કહ્યું પેલેસ્ટીન નીતિ અમારી લાલ લાઈન છે. ઇઝરાયેલની પેલેસ્ટીન બાબતે નીતિઓ સ્વીકારવી અમારા માટે અસંભવ છે. એમના નિર્દયી કૃત્યો અસ્વીકાર્ય છે. જો ઉચ્ચ સ્તરે કોઈ મુદ્દાઓ ના હોત તો અમારા સંબંધો જુદા હોત. અમે સંબંધો સારા કરવા ઈચ્છીએ છીએ. તુર્કી અને ઇઝરાયેલ પૂર્વ સાથીઓ છે, ઈઝરાયેલી દળો દ્વારા ગાઝા બોર્ડર પર સંખ્યાબંધ લોકોની હત્યા કરી હતી જે પછી બંનેએ ૨૦૧૮ના વર્ષમાં પોતાના દેશોમાંથી રાજદૂતોને હાંકી કાઢ્યા હતા. ઓગસ્ટ મહિનામાં ઈઝરાયેલે તુર્કી ઉપર હમાસના સભ્યોને પાસપોર્ટ આપવાના આરોપો મૂક્યા હતા. જે પગલાંને મિત્રતાની વિરુદ્ધ ગણાવ્યું હતું. ઈઝરાયેલે ચાર આરબ દેશો સાથે સંબંધો સામાન્ય બનાવ્યાં હતા, એમણે કહ્યું કે અમે પાંચમાં દેશ સાથે પણ સામાન્ય સંબંધો બનાવવા જઈ રહ્યા છીએ. અંકારાએ અમેરિકાની ટીકા કરી હતી જેમના પ્રયાસોથી ઈઝરાયેલે સંબંધો સામાન્ય બનાવ્યા હતા.