મોદી સરકારે ખેડૂતોની ચિંતાનું સમાધાન કરી ત્રણેય કૃષિ કાયદા પરત ખેંચવા જોઈએ : કેરળ સરકાર
(એજન્સી) કોચ્ચિ,તા.૩૧
દેશમાં નવા કૃષિ કાનૂન સામે એક મહિના કરતાં વધુ સમયથી ખેડૂતો દિલ્હી બોર્ડર પર વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન કેરળ સરકારે કેન્દ્રના કૃષિ કાયદા સામે એક પ્રસ્તાવ પાસ કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ખેડૂતોની વાસ્તવિક ચિંતા દૂર કરવી જોઈએ અને ત્રણેય કૃષિ કાયદા પરત લેવા જોઈએ.
ખેડૂતો તરફથી કૃષિ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અનેક રાજકીય પક્ષો પણ કાયદાનો વિરોધ કરી રહી છે. આ દરમિયાન કેરળ વિધાનસભામં એલડીએફ તથા યુડીએફ બંને પાર્ટીઓના ધારાસભ્યોએ કૃષિ કાયદા સામે પ્રસ્તાવ પાસ કર્યો છે. કેરળના સીએમ પી વિજયને એક કલાકના બોલાવેલા વિશેષ સત્રમાં માત્ર ખેડૂતા મુદ્દા પર વાત કરવામાં આવી હતી.
નવા કૃષિ કાયદાને પરત લેવાનું કહી સીએમ વિજયને કહ્યું, દેશના ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલું પ્રદર્શન આ વાતનું સાક્ષી છે. તેમણે સંસદમાં પસાર થયેલુ કૃષિ બિલ કોર્પોરેટ સમર્થક હોવાનું પણ જણાવ્યું હતું. અત્યાર સુધી વિરોધ પ્રદર્શન દરમિયાન ૩૦થી વધુ ખેડૂતોના મોત થયા છે. કૃષિ ક્ષેત્ર પડકારોનો સામનો કરી રહ્યુ છે તેવા જ સમયે કેન્દ્ર સરકાર આ કાયદો લઇને આવી છે.
આ પહેલા પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ પણ વિધાનસભામાં કૃષિ કાનૂન સામે પ્રસ્તાવ લાવી ચુક્યા છે.