અમદાવાદ, તા.૩
ગુજરાતમાં લઘુમતીઓના વિકાસ અને સંરક્ષણ માટે તા.૧૮ જુલાઈએ ગાંધીનગરમાં લઘુમતીઓ માટે રાજ્ય સ્તરનું સંમેલન યોજાશે. જેમાં ગુજરાત સરકાર દ્વારા લઘુમતી કલ્યાણ મંત્રાલય, લઘુમતી આયોગ, બજેટમાં નક્કર જોગવાઈ, મોબ લિંચિંગની ઘટનાઓને રોકવા માટે કડક કાયદો અને ધી માયનોરિટી એક્ટ બનાવવાની માંગ પણ કરાશે. માયનોરિટી કો-ઓર્ડિનેશન કમિટીના કન્વિનર મુજાહીદ નફીસે જણાવ્યું હતું કે,
માયનોરિટી કો- ઓર્ડીનેશન કમિટી (MCC) ઘણા સમયથી રાજ્યમાં લઘુમતી સમુદાયના વિકાસ અને રક્ષણ માટે લઘુમતી કલ્યાણ મંત્રાલય, લઘુમતી આયોગ, બજેટમાં નક્કર જોગવાઈ, લઘુમતી વિસ્તારોમાં ૧૨ ધોરણ સુધીની શાળા જેવીમાંગો ઉઠાવી રહી છે. સરકાર ૧૧.૫ % લઘુમતી સમુદાય સાથે સતત અન્યાય કરી રહી છે.
ગઈ કાલે ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં બજેટ ભાષણમાં નાણામંત્રી દ્વારા લઘુમતી સમુદાયને સરકારની પ્રાથમિકતામાં સમાવેશ ન કરવાથી સાફ જાહેર થાય છે કે રાજ્ય સરકાર લઘુમતીઓ સાથે ભેદભાવપૂર્ણ વર્તન રાખશે.
ગુજરાતમાં લઘુમતી સમુદાય ડર માં જીવી રહ્યો છે, હવે તો ભેંસ લઇ જતા પણ કથિત ગોરક્ષકો જાનલેવા હુમલાઓ કરી અને ઉઘરાણી કરે છે. આ સરકાર બેટી બચાવો – બેટી પઢાઓનો નારો લગાવે છે પણ ગુજરાતમાં મુસ્લિમ સમુદાયની છોકરીઓ ૧-૫ ધોરણમાં ૧૦.૫૮% ડ્રોપ આઉટ થઇ રહી છે છતાં પણ સરકાર તેની ઉપર કોઈ નક્કર કામગીરી નથી કરી રહી. ગુજરાતમાં લઘુમતી સમાજની ફરીયાદ સંભાળવા માટે કોઈ આયોગ પણ નથી જયારે દેશમાં લઘુમતી આયોગ છે તો ગુજરાતમાં કેમ નહિ? આ ભેદભાવનું સ્પષ્ટ ઉદાહરણ છે. ગુજરાતમાં લઘુમતી સમુદાયને એ અધિકારો પણ નથી મળી રહ્યા જે બીજા રાજ્યોને પ્રાપ્ત છે.
જેથી વિધાનસભાના આ ચોમાસુ સત્ર દરમિયાન સરકાર અને વિપક્ષના કાનો સુધી માઈનોરીટી સમુદાયના પ્રશ્નો પહોંચે અને તેની ઉપર કોઈ નક્કર પગલાં લેવામાં આવે તે માટે તા.૧૮ જુલાઈએ આંબેડકર હોલ સેક્ટર-૧ર ગાંધીનગરમાં લઘુમતી અધિકાર સંમેલન યોજાશે. જેનો સરકાર અને વિપક્ષને અમારે માંગો પર વિધાનસસભામાં ચર્ચા કરવાની વાત મૂકાશે. ઉપરાંત તમામ રાજકીય પક્ષોના વિધાનસભાના નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવશે, જેથી તેઓ અમારા પ્રશ્નો પર વિધાનસભામાં સત્ર દરમિયાન ચર્ચા કરે અને ૧૧.પ ટકા વસ્તીને તેના મૂળભૂત અધિકારો અપાવે એમ મુજાહિદ નફીસે જણાવ્યું હતું.
લઘુમતી સમુદાય માટે ધી માયનોરિટી એક્ટ બનાવો
રાજ્યમાં લઘુમતી કલ્યાણ મંત્રાલય (વિભાગ)ની સ્થાપના કરવા માં આવે. રાજ્યના બજેટમાં લઘુમતી સમુદાયના વિકાસ માટે નક્કર રકમ ની ફાળવણી કરવામાં આવે. રાજ્યમાં લઘુમતી આયોગ રચના કરવામાં આવે અને તેને બંધારણીય મજબૂતી માટેનું વિધેયક વિધાનસભામાં પસાર કરવામાં આવે. રાજ્યના લઘુમતી બહુસંખ્યા ધરાવતા વિસ્તારોમાં ધોરણ ૧૨ સુધીની સરકારી શાળાઓ ખોલવામાં આવે. મદ્રસાના શિક્ષણને ગુજરાત બોર્ડની સમકક્ષ માન્યતા આપવામાં આવે. લઘુમતી સમુદાયના ઉત્થાન માટે વિશેષ આર્થિક પેકેજ આપવા માં આવે. સાંપ્રદાયિક હિંસાથી વિસ્થાપિત લોકોના પુનર્વસન માટે સરકાર નીતિ બનાવે. પ્રધાનમંત્રીના નવા ૧૫ મુદ્દાના કાર્યક્રમનો સંપૂર્ણપણે અમલ કરવામાં આવે. લઘુમતી સમુદાય માટે The Minorities (Prevention Of Atrocities) Act બનાવવામાં આવે. મોબ લીંચિંગ જેવી ઘટનાઓ વિરુધ્ધ કડક કાયદો બનાવવામાં આવે.