ભરૂચ,તા.૩૦
રોજી-રોટી અને ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે ભરૂચ તાલુકાના મનુબર ગામેથી સાઉથ આફ્રિકાના સ્વાજીલેન્ડ ખાતે સ્થાયી થનારા સમસુદ્દીન નવગજા નાઓનું કાર અકસ્માતમાં મોત નીપજતાં મનુબર ગામે શોકનું મોજું પ્રવર્તિ જવા પામ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર મનુબર ગામના માજી સરપંચ ઐયુબભાઈ નવગજાના પુત્ર સમસુદ્દીન છેલ્લા રપ વર્ષથી આફ્રિકા સ્થાયી થયા હતા સામાજિક કાર્યકર તરીકે સેવા બજાવનાર સમસુદ્દીન વ્યવસાયે સફળ વેપારી તરીકેની છાપ ધરાવતા હતા. ગતરોજ ધંધાના કામ અર્થે સાઉથ આફ્રિકાના જહોનિસબર્ગ ગયા બાદ તેઓ પોતાની કારમાં સ્વાજીલેન્ડ પરત ફરી રહ્યા હતા તે વેળા આફ્રિકાના બિનોની ટાઉન ખાતે એક ટ્રેલરના ચાલકે પુરઝડપે હંકાર કારને અડફેટે લેતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સમસુદ્દીન નવગજાનું કરૂણ મોત નીપજયું હતું. આ દુઃખદ ઘટનાને પગલે આફ્રિકામાં વસતા ગુજરાતી પરિવારો અને મનુબર ગામે શોકનું મોજું પ્રવર્તિ જવા પામ્યું છે.