અમદાવાદ, તા.૨૨
જગન્નાથ મંદિરથી ૧૪૩મી રથયાત્રા ના કાઢવા માટે ગુજરાત હાઈકોર્ટના હુકમ બાદ પણ રથયાત્રા કાઢવાની માગણી જોરશોરથી થઈ રહી છે. રથયાત્રા કાઢવાની માગણી સાથે આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (AHP) અને રાષ્ટ્રીય બજરંગદળનાં પ્રદેશમંત્રી નિકુંજ પારેખ સહિતના કાર્યકરોએ જાહેરાત કરી હતી. આજે જગન્નાથ મંદિર ખાતે સવારે ૧૦ઃ૩૦ વાગ્યે દિલીપદાસજી મહારાજને રથયાત્રા નીકળવી જોઈએ તેવી રજૂઆત કરવા કાર્યકરો જવાના હતા. જો કે, પોલીસે ગતરાતથી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (AHP)ના પ્રદેશમંત્રી સહિત ૬ લોકોને ડિટેઈન કર્યા તેમજ સવારથી અર્જુન આશ્રમ ખાતે ૨૦૦ જેટલી પોલીસની ફોજ ખડકી દેવાઈ છે. નિકુંજ પારેખે એવો દાવો કર્યો છે કે, ભલે પોલીસે અમને ડિટેઇન કર્યા પણ અમારી બીજી ટીમો આજનો કાર્યક્રમ પર પાડશે અને આવતીકાલે રથયાત્રા પણ નીકળશે. પોલીસે આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સાથે જોડાયેલા કાર્યકરોને ડિટેઈન કરવાની કાર્યવાહી શરૂ કરી છે. ચાંદલોડિયા અર્જુન આશ્રમ ખાતે કેટલાક કાર્યકરો એકત્ર થયાની વિગત મળતા પોલીસ કાફલો આશ્રમ પર ખડકી દેવાયો છે.