અમદાવાદ, તા.૧૯
ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા ધો.૧થી ૧૨ના ૨૨૯ જેટલા પાઠ્ય પુસ્તકો આગામી જૂન-૨૦૧૯થી બદલશે. શિક્ષણ વિભાગના સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં મોટાભાગનો કોર્સ એનસીઇઆરટીનો લાગુ કરવામાં આવશે. હાલ શિક્ષકો દ્વારા પુસ્તકોના ભાષાંતરની પ્રક્રિયા ચાલી રહી છે અને તેમાં કોઇપણ પ્રકારની ભૂલ કે ક્ષતિ ના રહી જાય તે માટેની ખાસ કાળજી લેવાઇ રહી છે. ધોરણ-૧થી ૧૨ના મરાઠી, ઉર્દૂ, હિન્દી અને સંસ્કૃત માધ્યમના પાઠ્યપુસ્તકો બદલાઇ જશે. ગુજરાતી માધ્યમમાં ધો.૯થી ૧૨ અને ધોરણ-૨,૪ અને ૬ના મળીને કુલ ૩૭ પુસ્તકો અને અંગ્રેજી માધ્યમના ધો.૧થી ૧૨ના ૫૪ જેટલા પાઠ્યપુસ્તકો હાલમાં તૈયાર થઈ ચૂક્યા છે. રાષ્ટ્રીય કક્ષાએ લેવાતી પરીક્ષાઓમાં ગુજરાતના વિદ્યાર્થીઓ નબળા પડતાં હોવાથી એનસીઇઆરટીનો પાઠ્યક્રમ લાગુ કરાશે. તો ગુજરાતી, ઉર્દુ, મરાઠી, સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજી તમામ માધ્યમ મળીને કુલ ૨૨૯ જેટલા પાઠ્યપુસ્તકો નવા આવશે. ગુજરાતની સ્કૂલોમાં એનસીઈઆરટીનો અભ્યાસક્રમ ક્રમશઃ લાગુ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આગામી વર્ષ-૨૦૧૯ના નવા શૈક્ષણિક સત્રમાં ધોરણ.૧થી ૧૨ના તમામ માધ્યમોમાં ૨૨૯ જેટલી ચોપડીઓ બદલાશે તેવુ શિક્ષણ બોર્ડના સુત્રો જણાવી રહ્યાં છે. ગુજરાતી માધ્યમમા ધોરણ.૯થી ૧૨ અને ધોરણ.૨, ૪, અને ૬ના મળીને કુલ ૩૭ પુસ્તકો બદલાશે. જ્યારે અંગ્રેજી માધ્યમમાં ધોરણ.૧થી ૧૨ના ૫૪ જેટલા પાઠયપુસ્તકો નવા લાગુ કરાશે. નેશનલ લેવલે લેવાતી પરીક્ષાઓનો અભ્યાસક્રમ એનસીઈઆરટીના પાઠયપુસ્તકોમાંથી જ પસંદ કરવામાં આવતો હોવાથી ગુજરાતના વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હતી. કારણ કે, ગુજરાત બોર્ડ અને એનસીઈઆરટીના અભ્યાસક્રમમાં ફેરફાર છે. જેને પગલે ગુજરાત બોર્ડમાં પણ એનસીઈઆરટીના પુસ્તકો ભણાવવા માટે નિર્ણય લેવાયો હતો. જેમાં અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, ઉર્દુ, મરાઠી અને સંસ્કૃત માધ્યમના મળીને કુલ ૨૨૯ પુસ્તકોમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. અંગ્રેજી માધ્યમમાં ૫૪ પુસ્તકો, હિન્દી માધ્યમમાં ૬૬, ગુજરાતી માધ્યમમાં ૩૭, ઉર્દુ માધ્યમમાં ૨૩, મરાઠી માધ્યમના ૨૧ તથા સંસ્કૃત માધ્યમના ૨૩ પુસ્તકો બદલાશે.