રાજકોટમાં રૂા.૧૧૯પ કરોડના ખર્ચે નિર્માણ થનાર એઈમ્સનું દિલ્હીથી વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરતા વડાપ્રધાન
• ર૦ર૧નું વર્ષ હેલ્થ ચેલેન્જિસનું હતું, ર૦ર૧નું વર્ષ હેલ્થ સોલ્યુશનનું વર્ષ બની રહેશે : મોદી
• કોરોનાની વેકિસન દરેક વર્ગ સુધી પહોંચાડવાની તૈયારી અંતિમ તબક્કામાં : વડાપ્રધાન • દેશના દરેક રાજ્યમાં એક એઈમ્સ અને ત્રણ લોકસભા દીઠ એક મેડિકલ કોલેજ સ્થાપવા સંકલ્પ
(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.૩૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના મહત્વપૂર્ણ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે તેમણે ર૦ર૦ના વર્ષને હેલ્થ ચેલેન્જિસનું વર્ષ ગણાવતા કહ્યું હતું કે, ર૦ર૧નું વર્ષ હેલ્થ સોલ્યુશનનું વર્ષ બની રહેશે. આ સાથે વડાપ્રધાને લોકોને નવું સૂત્ર આપતા જણાવ્યું કે, ર૦ર૦માં સૂત્ર હતું કે દવા નહીં ત્યાં સુધી ઢીલાસ નહીં પરંતુ હવે ર૦ર૧નું નવું સૂત્ર હશે કે દવા પણ, કડકાઈ પણ. તેમણે વેકસીનને દરેક વર્ગ સુધી પહોંચાડવાની તૈયારી અંતિમ તબક્કામાં હોવાનું પણ જણાવ્યું હતું. રાજકોટમાં રૂા.૧૧૯પ કરોડના ખર્ચે નિર્માણ થનાર એઈમ્સનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીથી વર્ચ્યુઅલ ખામુહૂર્ત કરતા જણાવ્યું હતું કે, આ શિલાન્યાસથી દેશના આરોગ્ય ક્ષેત્રના આંતર માળખાને મજબૂત બનાવનાર વધુ એક કડી ઉમેરાઈ છે, જેના કારણે ગુજરાતની સાથે સમગ્ર દેશમાં સ્વાસ્થ્યસેવાને નવું બળ મળશે. આ સાથે તેમણે પોતાની સરકારની નેમ વ્યકત કરતા કહ્યું હતું કે, તબીબી શિક્ષણ ક્ષેત્રે મિશન મોડમાં કાર્ય થઈ રહ્યું છે. ત્યારે દેશના પ્રત્યેક રાજયમાં એક એઈમ્સ અને દર ત્રણ લોકસભા દીઠ એક મેડિકલ કોલેજ સ્થાપવાનું તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાન મોદીએ ૨૦૨૦ તકલીફોથી ભરેલું રહ્યું હોવાની વાત કરી અને ૨૦૨૧માં આશાઓ દેખાઈ રહી હોવાની વાત કરતા તેમણે કહ્યું કે, ભારતમાં રસી આવતા વાર નહીં લાગે પણ દવા આવ્યા પછી પણ સુરક્ષાનું પાલન કરવા લોકોને સૂચન કર્યું છે. વેક્સીનને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવાની પણ મોદીએ સલાહ આપી છે.
કોરોના વેક્સીન અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “વેક્સીનને લઈને ભારતમાં તમામ જરુરી તૈયારીઓ ચાલી રહી છે. ભારતમાં બનેલી વેક્સીન ઝડપથી તમામ જરુરી વર્ગ સુધી પહોંચાડાશે, તેના માટેની તમામ કોશિશો અંતિમ તબક્કામાં છે. દુનિયાના સૌથી મોટા રસીકરણ અભિયાન માટે ભારતમાં પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. જે રીતે પાછલા વર્ષે સંક્રમણને રોકવા માટે આપણે એક થઈને પ્રયાસ કર્યા તે જ રીતે રસીકરણને સફળ બનાવવા માટે એકતા સાથે આગળ વધવાનું છે.” વડાપ્રધાન એમ પણ કહ્યું કે આપણાં ત્યાં કેટલાક લોકો અફવાનું વાતાવરણ ગરમ રાખવા પ્રયાસ કરતા હોય છે, પરંતુ આ પ્રકારની ભ્રામક બાબતોથી ગેરમાર્ગે દોરાવવું ના જોઈએ અને સોશિયલ મીડિયા પર આવતી માહિતીને સાચી માનીને સીધી શેર કરવાના બદલે તેની ચકાસણી જરુર કરવી જોઈએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ વર્ષ પડકારોથી ભરેલું રહ્યું છે. વર્ષનો આ અંતિમ દિવસ ભારતના લાખો ડૉક્ટર્સ, હેલ્થ વોરિયર્સ, સફાઈ કર્મચારીઓ, દવાની દુકાનોમાં કામ કરનારા લોકો અને બીજા ફ્રન્ટ લાઈન વોરિયર્સને યાદ કરવાનો છે. કર્તવ્ય પથ પર જે સાથીઓએ પોતાનો જીવ આપ્યો છે, તેમને નમન કરું છું. વડાપ્રધાને કોરોના આખું લડાઈ લડી તેને યાદ કરીને એમ પણ કહ્યું કે વર્ષ ૨૦૨૦માં આપણે એ શીખીને જવાનું છે કે સ્વાસ્થ્ય જ સાચી સંપત્તિ છે.
વડાપ્રધાને કહ્યું કે, વર્ષ ૨૦૨૦માં સંક્રમણની નિરાશા હતી, ચિંતાઓ હતી, ચારે તરફ સવાલ ઉઠતા હતા, પરંતુ ૨૦૨૧ સારવારની આશા લઈને આવી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, ભારતે એક થઈને જરુરી પગલા ભર્યા, તેનું આ પરિણામ છે કે આપણે સારી સ્થિતિમાં છીએ. જે દેશમાં ૧૩૦ કરોડ કરતા વધારે લોકો છે, વસ્તી ગીચતા છે, ત્યાં લગભગ ૧ કરોડ લોકો બીમારી સામે લડીને જીત્યા છે.
તેમણે કહ્યું કે દવા આવી જાય એટલે નિશ્ચિંત થઈ જવાની જરુર નથી પરંતુ સુરક્ષિત રહીને આગળ વધવાની જરુર છે.
આયુષ્યમાન ભારત યોજનાથી ગરીબોના ૩૦ હજાર કરોડ રૂપિયા બચ્યા છે. કેન્સર, હાર્ટ, કિડનીની સમસ્યા હોય તેવા ગરીબોની સારી હોસ્પિટલમાં ફ્રીમાં સારવાર મળી છે. દેશમાં ૭ હજાર જનઔષધિ કેન્દ્રો ગરીબોને દવા ફ્રીમાં આપવા વિચાર કરી રહ્યાં છીએ. આ કેન્દ્રો પર દવા ૯૦ ટકા સુધી સસ્તી હોય છે. સાડા ત્રણ લાખથી વધુ દર્દીઓ રોજ જનઔષધિ કેન્દ્રોનો લાભ લે છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના સ્વાસ્થ્ય માટે એઈમ્સે પાયાનો પથ્થર બની રહેશે. તેમ આ સંસ્થા ઝડપથી વિકસિત બની લોકોની અહર્નિશ સેવામાં સમર્પિત બનશે તેવી આશા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે, ગુજરાતના લોકોને ગંભીર બીમારીના સમયમાં આરોગ્ય ઉચ્ચ સારવાર માટે ગુજરાત બહાર જવું ન પડે તે માટે વડાપ્રધાનની દુરંદેશીના પરિણામે ગુજરાતને એઈમ્સ પ્રાપ્ત થઈ છે. આરોગ્ય ક્ષેત્રમાં સૌથી મોટી સુવિધા આપનાર આ સંસ્થાનું રાજકોટમાં નિર્માણ થવાથી ગુજરાતના લોકોને આરોગ્ય ક્ષેત્રે ઉચ્ચતમ સુપર સ્પેશિયાલિટી સેવા હવે ઘરઆંગણે રહેશે.