મુંબઈ, તા.૩
કપિલે કહ્યું, જ્યારે તમે સારૂંં કરો છો, તો આપણે બધા વખાણ કરીએ છીએ, પરંતુ કેટલાક મોટા નામો, સિલેક્ટર્સે હવે કડક વલણ અપનાવવુ પડશે, સારૂં પ્રદર્શન કરનારા યુવા ખેલાડીઓ પર વિચાર કરવો જોઈએ. મોટા ખેલાડી જો રન ના બનાવી શકતા હોય તો તેમણે ટીકાઓનો સામનો કરવો પડશે. ભારતને ૧૯૮૩નો વર્લ્ડ કપ જીતાડનારા કેપ્ટન કપિલ દેવે ટીમ ઈન્ડિયાના હાલના કેપ્ટન વિરાટ કોહલીને લઈને મોટું નિવેદન આપ્યું છે. ન્યૂઝીલેન્ડ સામે મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના એક નિવેદનથી કપિલ દેવને નારાજ કરવાનું કામ કર્યું છે. ન્યૂઝીલેન્ડ સામે મેચ હાર્યા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું, અમે પૂરી ઈમાનદારીથી નહોતા રમ્યા, બેટિંગ અને બોલિંગથી બહાદુરી ના બતાવી શક્યા. કપિલ દેવ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની આ વાતથી નારાજ થઈ ગયા. કપિલ દેવે કહ્યું, ઉલ્લેખનીય છે વિરાટ કોહલી જેવા મોટા ખેલાડી દ્વારા આપવામાં આવેલું આ એક ખૂબ જ નબળું નિવેદન છે. આપણે બધા જ જાણીએ છીએ અને આપણે માનીએ છીએ કે તેમનામાં ટીમ માટે મેચ જીતવાની ભૂખ અને ઈચ્છા છે. જે રીતે ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન હતું, તે રીતે કેપ્ટન માટે ડ્રેસિંગ રૂમની વાતો ઉઠાવવી ખૂબ જ મુશ્કેલ હતી. પરંતુ મને તે શબ્દોને સાંભળીને થોડું અજીબ લાગ્યું, કારણ કે તેઓ એ પ્રકારના ખેલાડી નથી. કપિલ દેવે કહ્યું, વિરાટ કોહલી ફાયટર છે. મને લાગે છે કે તેને હાર મળી કે કંઈ બીજું તે અલગ વાત છે, પરંતુ એક કેપ્ટને આવા શબ્દો ના કહેવા જોઈએ કે અમે બહાદુરીથી ના રમ્યા. તમે ઝનૂન સાથે દેશ માટે રમો છો, આથી જ્યારે તમે આવા શબ્દોનો ઉપયોગ કરો છો, તો નિશ્ચિતરૂપે જ સવાલ ઊભા થાય છે.