(એજન્સી) શ્રીનગર, તા. ૧૩
દક્ષિણ કાશ્મીરના અનંતનાગના હકુરામાં અથડામણ દરમિયાન માર્યા ગયેલા મુહમ્મદ ઇસા ફાઝીલી, ઓવૈસ શફી અને સબઝાર અહેમદ નામના ઉગ્રવાદીઓને શ્રદ્ધાંજલિ આપતા હુર્રિયત નેતા સૈયદઅલી ગિલાનીએ કહ્યું કે, આ રક્તપાત માટે ભારતના સત્તાવાળાઓ જવાબાદાર છે. પોતાની રીતે ઐતિહાસક મુદ્દાઓ ઘણા લાંબા સમયથી પડતર છે તેનો ઉકેલ લાવવાને બદલે સરકાર બંદૂકના નાળચે પોતાની પસંદગી લોકો પર થોપવા માગે છે. ગિલાનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ખોટી રીતે ઘુષણખોરી કરી સત્તાવાળાઓએ માનવીય કરૂણાંતિકા સર્જી છે અને તેના કારણે યુવાઓ આજે મોતને ભેટી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે આ ભયાનક સ્થિતિ માટે ભારતીય સત્તાવાળાઓ જવાબદાર છે. આ સ્થિતિને તેઓ આગળ ધપાવવા માગે છે અને અંકુશ બહાર રાખવા માગે છે. મુખ્ય સ્થાનિક રાજનેતાઓ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, તેઓ છેલ્લા સાત દાયકાથી એક કે બીજી વાતથી દેશના લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. આઝાદીના ખરા મિશનને પાર પાડવાને બદલે તેઓ રાજકારણ કરી રહ્યા છે. મોતને ભેટેલા ઉગ્રવાદીઓને શ્રદ્ધાંજલિ આપતા તેમણે કહ્યું કે, આ યુવાઓએ કાશ્મીરની મહાનતા અને પવિત્રતા માટે પોતાનું ગરમ લોહી વહાવ્યું છે અને સમગ્ર કાશ્મીર રાજ્ય તેમના આ બલિદાન માટે તેમનો ઋણી રહેશે. હુર્રિયત નેતાઓનું પ્રતિનિધિમંડળ આજે મોતને ભેટેલા મુહમ્મદ ઇસા ફાઝીલીના જનાઝામાં સામેલ થયા હતા.