(એજન્સી) નવી દિલ્હી, તા.ર૩
ઐતિહાસિક ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનના લગભગ સાત વર્ષ બાદ સામાજિક કાર્યકર અન્ના હઝારેએ કેન્દ્રમાં લોકપાલની નિયુક્તિની માગણી સાથે આજથી રામલીલા મેદાન ખાતે અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાળનો પ્રારંભ કર્યો છે. જ્યાં તેઓ ર૦૧૧માં બેઠા હતા. આ વખતે તેમના નિશાન પર મોદી સરકાર હશે. અન્ના હઝારે કૃષિ પર સ્વામીનાથન આયોગનો રિપોર્ટ લાગુ કરવા, કેન્દ્રમાં લોકપાલ નિમવા અને રાજ્યોમાં લોકાયુક્તની નિમણૂકની માગણીઓ પર જોર આપી રહ્યા છે. પ્રદર્શન દરમિયાન અહીં હજારો લોકો જોડાશે. દિલ્હી પોલીસે સુરક્ષાની પૂરતી તપાસ કર્યા બાદ અન્નાને રામલીલા મેદાનમાં ધરણાં પ્રદર્શનની મંજૂરી અપાઈ છે. અન્ના હઝારેનું કહેવું છે કે, સરકારી નિયંત્રણવાળા કૃષિ મૂલ્ય આયોગ પરથી સરકારનું નિયંત્રણ હટવું જોઈએ. તેમજ તેને બંધારણીય દરજ્જો મળવો જોઈએ. જે ખેડૂતોના ઘરમાં કોઈ આવક નથી તેવા ખેડૂતોને ૬૦ વર્ષ પછી પ હજાર રૂપિયા પેન્શન આપો. સંસદમાં કિસાન બિલ પાસ કરો. કારણ કે આપણું બંધારણ દરેકને જીવવાનો અધિકાર આપે છે. આ વખતે લડાઈ આરપારની હશે. અન્ના હઝારે રામલીલા મેદાન પર જનસભા સંબોધશે ત્યારે ટ્રાફિકને ભારે અસર થશે. ર૦૧૧માં અન્ના લોકપાલની માગણી સાથે ભૂખ હડતાળ પર બેઠા હતા. હવે ભાજપની મોદી સરકાર નિશાન પર છે.