(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૩
જોધપુરમાં ચાલી રહેલા ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાનના શુટીંગ દરમિયાન બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ બની હોવાની ખબર આવી હતી. મુંબઈથી ડોક્ટરોની એક ટીમ જોધપુર આવીને બચ્ચનનું ચેકઅપ કર્યું હતું જે પછી તેમની તબિયત સારી હોવાના સમાચાર આપવામાં આવ્યાં હતા. તેમણે મંગળવારે આખી રાત જાગીને સવારે ૫ વાગ્યા સુધી શુટીંગ કર્યું હતું. લગાતાર ત્રણ દિવસના શુટીંગ બાદ તેમના ખભા પર હળવા પ્રકારનું દર્દ થયું હતું. ડોક્ટરોએ તેને સામાન્ય ગણાવતાં કહ્યું કે ઘોડા પર શુટિંગને કારણે ખોટી રીતે હાથ મરડવાને કારણે હળવું દર્દ થયું હતું. કેટલાક એક્શન થ્રીલર સીન્સનું શુટિંગ કર્યા બાદ તેમને થાક અને દર્દની ફરિયાદ કરી હતી જે પછી મુંબઈથી ચાર્ટેડ પ્લેનમાં ડોક્ટરોની એક ટીમ જોધપુર બોલાવવામાં આવી. તેમના થાકમાં ઘટાડો કરવા માટે લગાતાર પ્રવાહી ખોરાક લેતા રહેવાની સલાહ આપવામાં આવી હતી. તેમનું હેલ્થ ચેક અપ કરનાર ત્રણ ડોક્ટરો ડો.જયંત બર્વે, ડો.એમએસ માનસી અને ડો.જિતેન્દ્ર જૈન તેમની સાથે હોટલ અજિત ભવનમાં લંચ લીધું હતું. ડોક્ટરોની ટીમ સાંજના પાંચ વાગ્યે ફ્લાઈટમાં જોધપુરથી મુંબઈ રવાના થઈ હતી. ઠગ્સ ઓફ હિન્દોસ્તાનના સેટ પરના સૂત્રોએ કહ્યું કે હાલમાં બચ્ચનની તબિયત સારી છે. બચ્ચને મંગળવારની સવારે તેમના બ્લોગમાં લખ્યું હતું કે મારી તબિયત સારી નથી લાગતી. બચ્ચને લખ્યું કે ૪.૫૧ નો સમય છે અને હું કામ પરથી પાછો આવ્યો છું. મહેનત વગર કંઈ પણ મળતું નથી. જોધપુર શહેર ઊંઘી રહ્યું છે. તેથી થોડા સમય બાદ શુભચિંતકોની મળી શકિશ. શુટિંગ પૂર્ણ થયા બાદ બચ્ચન હોટલ પહોંચીને સુઈ ગયાં હતા. લગભગ ૯.૩૦ કલાકે નાસ્તો કરતી વખતે બિગ બીએ બીજા ટ્વીટમાં લખ્યું કે આપણે આપણી ભૂલો માટે ઘણા સારી વકીલ બની જઈએ છીએ અને બીજાની ભૂલો માટે ઘણા સારા જજ.