યુનેસ્કોેના ડાયરેક્ટર જનરલ ઓડરી અજુલે એ અમેરિકાના નિર્ણયને અત્યંત અફસોસજનક ગણાવ્યો અને અમેરિકાના દાવાઓનું ખંડન કર્યું હતું
(એજન્સી) વોશિંગ્ટન, તા.૨૩
અમેરિકાએ યુનેસ્કોમાંથી તાત્કાલિક અસરથી પાછા હટી જવાનું જાહેર કર્યું હતું અને પોતાના નિર્ણય માટે પેલેસ્ટીનને સભ્ય પદ અપાયાનું કારણ દર્શાવ્યું હતું અને એવો દાવો કર્યો હતો કે, અમેરિકા ફર્સ્ટની વિદેશ નીતિની વિરૂદ્ધ આ પગલું યુનેસ્કોએ લીધું છે અને પેલેસ્ટીનને સભ્યપદ આપ્યું છે તેના વિરોધમાં ઇતિહાસમાં ત્રીજી વખત અમેરિકા યુનેસ્કોમાંથી ખસી ગયું છે. જો કે, યુનેસ્કોના ડાયરેક્ટર જનરલ ઓડરી અજૂલે એ અમેરિકાના નિર્ણયને અફસોસ જનક ગણાવ્યો હતો અને તેના દાવાઓનું ખંડન કર્યું હતું. અમેરિકા વિદેશ વિભાગની પ્રવક્તા ટેમી બ્રુસ દ્વારા નિવેદન કરવામાં આવ્યું હતું કે, વોશિંગ્ટન માટે પેરિસ સ્થિત એજન્સીમાં હવે વધુ રહેવું એ દેશના હિતમાં નથી. હવે આ એજન્સી વિભાજનકારી અને સાંસ્કૃતિક હેતુઓને આગળ કરીને ઉત્તેજન આપી રહી છે. યુનેસ્કના વૈશ્વિક અને વૈચારિક આંતરરાષ્ટ્રીય વિકાસનો એજન્ડા અમેરિકા ફર્સ્ટની વિદેશ નીતિ સાથે અનુકૂળ નથી. યુનેસ્કોમા પેલેસ્ટીનને સભ્યપદ અપાયું એ નિર્ણયને પણ અમેરિકી વિદેશ ખાતાની પ્રવક્તાએ સમસ્યા રૂપ અને અમેરિકી નીતિનો વિરોધી ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, યુનેસ્કો સંગઠન ઇઝરાયેલ વિરોધી અભિગમ અપનાવી રહ્યું છે જે અમેરિકાની નીતિ સાથે સુસંગત નથી. અગાઉ ૨૦૧૮માં પણ અમેરિકા આ સાંસ્કૃતિક યુનો સંગઠનમાંથી હટી ગયું હતું પરંતુ ૨૦૨૩માં તત્કાલીન અમેરિકી પ્રમુખ જો બાઇડન દ્વારા ફરીથી યુનેસ્કોમાં જોડાવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. યુનેસ્કોના ડાયરેક્ટર જનરલ અજૂલે એ અમેરિકાના નિર્ણયને અફસોસ જનક ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, અમેરિકાના આ નિર્ણય હકીકતે વિશ્વના દેશોને એક જૂટ રાખવાના પાયાના સિદ્ધાંતોના ભંગ સમાન છે. કોઈપણ નરસંહારનો મુદ્દો ઉઠાવે તેને યહૂદી વિરોધી ગણાવી દેવાના અમેરિકાના દાવાઓનું તેમણે ખંડન કર્યું હતું. સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે, સંગઠન અમેરિકાના નિર્ણય માટે તૈયાર જ છે.