‘ધ વાયર’ સાથેની મુલાકાતમાં યુસુફ સામે અનુચ્છેદ ૩૭૦ રદ કરવા પર પાકિસ્તાનનો પ્રતિસાદ, કુલભૂષણ જાધવનું ભાવિ, મુંબઇ આતંકના કેસમાં વિલંબ, બલુચિસ્તાન અને અન્ય મુદ્દાઓ પરના પ્રશ્નો ઉઠાવ્યા હતા
(એજન્સી) તા.૧૪
ઓગસ્ટ, ૨૦૧૯માં જમ્મુ અને કાશ્મીરમાં બંધારણીય ફેરફાર બાદ ભારતીય મીડિયા સાથેની પ્રથમ મુલાકાતમાં રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યુહાત્ક નીતિ વિષયક આયોજન પર પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાનના સલાહકાર મોઇદ યુસુફે જણાવ્યું છે કે ભારતે વાતચીત માટેની ઇચ્છા વ્યક્ત કરતો એક સંદેશ પાકિસ્તાનને મોકલ્યો છે. તેમણે જણાવ્યું હતું કે અમને વાતચીત માટેની ઇચ્છા વ્યક્ત કરતો એક સંદેશ ભારત તરફથી મળ્યો છે પરંતુ તેમણે આ અંગેની વધુ વિગતો જાહેર કરવાનો ઇન્કાર કર્યો હતો. જો કે તેમણે એવો આગ્રહ રાખ્યો હતો કે આ વાટાઘાટોમાં કાશ્મીરીઓ ત્રાહિત પક્ષકાર તરીકે હોવા જોઇએ. તેમણે એવું પણ સ્પષ્ટ કર્યું હતું કે પાકિસ્તાન આતંકના મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે. ધ વાયર માટે ૭૫ મિનિટની વિસ્તૃત મુલાકાતમાં મોઇદ યુસુફે કરણ થાપરને જણાવ્યું હતું કે આપણે પુખ્તોની જેમ સાથે બેસવું જોઇએ. તેમણે જણાવ્યું હતું કે બે મુદ્દાઓ છે – કાશ્મીર અને આતંકવાદ અને તેમણે ઉમેર્યું હતું કે હું બંને મુદ્દા પર વાત કરવા માગું છું. તેમણે એવું પણ જણાવ્યું હતું કે પાકિસ્તાન શાંતિની તરફેણમાં છે અને આગળ વધવા માગે છે. આ મુલાકાતમાં જો કે યુસુફે એક વાત વારંવાર દોહરાવી હતી કે કાશ્મીરીઓએ વાતચીતમાં ત્રીજા પક્ષકાર તરીકે રહેવું જોઇએ અને બીજી વાત એ છે કે બે મુખ્ય પૂર્વ શરતો અનુસાર ભારતે કાશ્મીરમાંથી લશ્કરની કિલ્લેબંધી હટાવી લેવી જોઇએ અને નવા અધિવાસ કાયદાને પરત ખેચવો જોઇએ. ધ વાયર સાથેની મુલાકાતમાં યુસુફ સામે અનુચ્છેદ ૩૭૦ રદ કરવા પર પાકિસ્તાનનો પ્રતિસાદ, કૂલભૂષણ જાદવનું ભાવિ, મુંબઇ આતંકના કેસમાં વિલંબ, બલુચિસ્તાન અને અન્ય મુદ્દાઓ પરના પ્રશ્નો ઉઠાવ્યાં હતાં. આ મુદ્દાઓ પરના પ્રતિસાદમાં યુસુફે જણાવ્યું હતું કે કાશ્મીરીઓ ભારતીયોને ધિક્કારે છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે ઓગસ્ટ, ૨૦૧૯ના કાશ્મીરના બંધારણીય ફેરફાર એ આંતરિક બાબત નથી. તેમણે જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રસંઘ માટેની આ બાબત છે.
(સૌ. : ધ વાયર.ઈન)