(એજન્સી) મુંબઈ, તા.૧૩
ઈઝરાયેલના વડાપ્રધાનની ભારત મુલાકાતને રઝા એકેડેમી, સુન્ની જમીઅત ઉલેમા, મુસ્લિમ કાઉન્સિલ અને રહમાની ગ્રુપે રદ કરવાની માગણી કરતા ૧પ જાન્યુઆરીથી ૧૯ જાન્યુઆરી સુધી આઝાદ મેદાનમાં પાંચ દિવસીય ધરણા યોજવાનું એલાન કર્યું છે. રઝા એકેડેમીના સંસ્થાપક મોહમ્મદ સઈદ નૂરીએ કહ્યું કે કિબલા અવ્વલના દુશ્મન, પેલેસ્ટીની બાળકો અને સમગ્ર માનવતાના હત્યારા ઈઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહુના વિરોધમાં મુંબઈના આઝાદ મેદાનમાં ૧પ જાન્યુઆરીથી ૧૯ જાન્યુઆરી સુધી ઉલેમા અને મસ્જિદોના ઈમામ પાંચ દિવસીય ધરણાનું આયોજન કરશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ધરણા પ્રદર્શનનો હેતુ બૈતુલ મુકદ્દસનો કબજો, નિર્દોષ પેલેસ્ટીનીઓ અને ખાસ કરીને નાના-નાના માસૂમ બાળકોના હત્યારાના ગુનાઓને જનતાની સામે લાવવાના છે. આ ધરણા પ્રદર્શન ખૂબ જ મહત્ત્વનું છે. તેથી અમે તમામ ઉલેમાએ કિરામ અને મસ્જિદોના ઈમામને અપીલ કરીએ છીએ કે મોટી સંખ્યામાં આ ધરણા પ્રદર્શનમાં સામેલ થાય. જેથી ઈઝરાયેલના વડાપ્રધાનની મુલાકાત રદ કરવા માટે સરકાર મજબૂર થઈ જાય.