૨૮મી ડિસેમ્બરથી ઉગ્ર દેખાવો શરૂ થયા ત્યારથી અત્યાર સુધીમાં લગભગ ૬૫ લોકો મૃત્યુ પામ્યા છે
(એજન્સી) તહેરાન, તા.૧૧
દેશભરમાં ચાલી રહેલા સરકાર વિરોધી દેખાવો અને તેના પગલે થયેલી હિંસા માટે શાસકો દ્વારા અમેરિકા અને ઇઝરાયેલને દોષિત ઠરાવવામાં આવ્યા બાદ ઈરાનની સેનાએ ‘દુશ્મનોના કાવતરા’સામે સાવધ રહેવાની નાગરિકોની અપીલ કરી હતી. મીડિયાના અહેવાલ મુજબ ઈરાનની સેનાએ દેશના રાષ્ટ્રીય હિતો અને દેશના પાયાના માળખાની સુરક્ષા કરવાના શપથ લીધા છે અને બીજી તરફ સત્તાવાળાઓએ દેશની મિલકતોને અને પાયાના માળખાને નુકસાન કરનારને ફાંસીની સજા કરવાની ચેતવણી આપી છે. માનવ અધિકાર જૂથો કહે છે કે શુક્રવાર સાંજ સુધીમાં દેખાવો અને હિંસા દરમિયાન ૬૫ જેટલા લોકોના મોત થયા છે જેમાં ૫૦ જેટલા તો દેખાવ કરી રહેલા નાગરિકો છે અને ૧૪ જેટલા સુરક્ષા કર્મીઓ છે. દેખાવો કરવામાં માર્યા ગયેલા સાત બાળકો પણ છે તેમ જાહેર થયું છે. દેખાવ અને આંદોલનને બિલકુલ કચડી નાખવા માટે ઇન્ટરનેટ સેવાઓ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી છે. દેશનિકાલ થઈ ગયેલા વિરોધ પક્ષના નેતાઓએ દેખાવકારોને ઓનલાઈન ઉશ્કેરણી કરવાની કોશિશો કરી હોવાથી ઇન્ટરનેટ બિલકુલ બંધ કરી દેવાયું છે. સર્વોચ્ચ ધાર્મિક નેતા અને ઈરાનના વડા અલી ખામેનીએ જાહેર કર્યું હતું કે ઈસ્લામિક પ્રજાસત્તાક કોઈપણ રીતે પીછેહટ કરશે નહીં અને તેમણે દેખાવો કરી રહેલા લોકોને વિદેશી સત્તાઓના ઇશારે કામ કરી રહેલા બદમાશો ગણાવ્યા હતા.