(એજન્સી) ચેન્નાઈ, તા.૨૨
તામિલનાડુના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર ઉદયનિધિ સ્ટાલિને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા આરોપ લગાવ્યો છે કે, ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR)ના નામે રાજ્યમાં લઘુમતી અને વંચિત સમુદાયોને મતાધિકારથી વંચિત રાખવાનું વ્યવસ્થિત કાવતરૂં ઘડવામાં આવી રહ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે આ વહીવટી પ્રક્રિયાનો દુરૂપયોગ કરીને લાખો મતદારોના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. ચેન્નાઈમાં યોજાયેલી એક પત્રકાર પરિષદને સંબોધતા ઉદયનિધિએ જણાવ્યું હતું કે, વહીવટી સફાઈના બહાને ખાસ કરીને મુસ્લિમો, દલિતો અને અન્ય લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમણે આ સમગ્ર પ્રક્રિયાને નિયમિત અપડેટના બદલે ‘મતદાનના અધિકારને નકારવાનો ઈરાદાપૂર્વકનો પ્રયાસ’ ગણાવ્યો હતો.આંકડાકીય વિગતો અને મતદારોને અપીલડેપ્યુટી સીએમ દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ, સમગ્ર તામિલનાડુમાં અંદાજે ૯૭ લાખ નામો મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે, જેમાંથી ફક્ત રાજ્યની રાજધાની ચેન્નાઈમાં જ ૧૪ લાખ નામો કાઢી નાખવામાં આવ્યા હોવાનો અહેવાલ છે. આ ગંભીર સ્થિતિને જોતા તેમણે નાગરિકોને તાત્કાલિક મતદાર યાદીમાં પોતાના નામની ચકાસણી કરવા અને જો નામ કમી થયું હોય તો ફરીથી નોંધણી કરાવવા વિનંતી કરી છે. તેમણે ખાતરી આપી હતી કે શાસક પક્ષ DMK આ પ્રક્રિયામાં જનતાને સંપૂર્ણ સહયોગ આપશે.કેન્દ્ર અને ભાજપ પર પ્રહાર : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધતા ઉદયનિધિએ કહ્યું કે, દિલ્હીમાં બેસીને તામિલનાડુની રાજકીય દિશા નક્કી કરવાના પ્રયાસો સફળ થશે નહીં. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, ‘જે પદ્ધતિઓ ઉત્તર ભારતના રાજ્યોમાં કામ કરે છે, તે અહીં તામિલનાડુમાં સફળ નહીં થાય.’ તેમણે ચેતવણી આપી હતી કે જો જનતા જાગૃત નહીં રહે તો તેઓ પોતાનો મતાધિકાર ગુમાવી શકે છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ તામિલનાડુ સરકાર અને કેન્દ્ર વચ્ચેના રાજકીય સંબંધોમાં વધુ તણાવ જોવા મળી રહ્યો છે. ભાજપ જ્યારે દક્ષિણ ભારતમાં પોતાનો વિસ્તાર વધારવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે મતદાર યાદીના આ વિવાદે રાજકીય માહોલને વધુ ગરમાવી દીધો છે.