ઉના,તા.૧૩
ઉના તાલુકાનું મોઠા,સીમર અને દુધાળા ગામે રહેતા બાવન જેટલા અનુસુચિત શ્રમિક વર્ગના દલીત પરિવારો ૧૯૭૩માં પોતાની આજીવિકા માટે આપેલ સાંથણીની જમીન રાજ્ય સરકારના રેવન્યુ વિભાગે ખાલસા કરી નાખતા આ બાબતે ખેડૂત જાગૃતી મિશન સામાજીક એકતા સંગઠનના સંયોજક કેવલસિંહ બાબુભાઇ રાઠોડના નેતૃત્વ હેઠળ જમીન વિહોણા બનેલા આ દલીત ખેડૂતો છેલ્લા પાંચ દિવસથી ઉના ખાતે આવેલ આંબેડકર ચોકમાં ૩૫ જેટલા સ્ત્રી પુરૂષ ખેડૂત પરિવારના આમરણાંત ઉપવાસ ઉપર બેઠેલા છે. તેમાં પાંચ જેટલા ખેડૂતોની તબીયત લથડતા સારવાર હેઠળ ઉના સરકારી હોસ્પટલે દાખલ કરાયેલ છે. જેમાં મોટાસમઢીયાળા કાંડના પિડીત બાલુભાઇના પુત્ર રમેશભાઇ સરવૈયાની તબિયત લથડતા તાત્કાલીક ઇમરજન્સી ૧૦૮ દ્રારા સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવેલ બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પીટલ ખસેડેલ હતા.અને સ્થાનિક ડોક્ટરે વધુ સારવાર માટે બહાર ખસેડવા જણાવેલ હતું. અને અન્ય ચાર ખેડૂતોને પ્રાથમિક સારવાર આપી દેતા તે ઉપવાસી છાવણીઓમાં ફરી જોડાય ગયા હતા.
આ આમરણાંત ઉપવાસ છાવણીની મુલાકાતે પ્રાંત કચેરીના ડે.કલેક્ટર પ્રજાપતિ દોડી આવેલ હતા.અને તેમણે જણાવ્યુ હતુ કે તમારી જે માંગણી છે તે મેજીસ્ટ્રેટ કોર્ટમાં ચાલતો હોય આ બાબતે નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સરકારનો પણ અભિગમ ગરીબ લોકો હેરાન ન થાય તે માટેનો પ્રયત્નો સરકાર કરી રહી છે. અને સમગ્ર સાંથણીની જમીન હાલ જે સ્થિતીમાં છે. એ બાબતે પ્રાંત અધિકારીએ ઉપવાસઓને સમગ્ર બાબતથી વાકેફ કર્યા હતા. આ આમરણાંત ઉપવાસ છોડવા વિનંતી કરેલ હતી. પરંતુ ઉપવાસની છાવણીમાં બેઠેલા ખેડૂતોએ ઉપવાસ આંદોલન ચાલુ રહેશે એવું જણાવેલ હતું. આમરણાંત ઉપવાસી છાવણીમાં ભિખુભાઇ બાંટવા વાળાએ પણ મુલાકાત લીધી હતી. ઉપવાસી છાવણીમાં બેઠેલા વયોવૃધ્ધના હોય જેમની એક પછી એકની તબિયત લથડતા સવારથીજ ઉનાની બે-બે ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ દોડી ગયેલ હતી.