(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
કુર્આન શીખવતા હાફિઝ ઓબૈદુલ્લાહ કાસ્મીને ૧૦ માર્ચની રાત્રે લક્ષ્મીનગરના મંગલ બજાર વિસ્તારમાં ત્રણ યુવાનોના જૂથે માર માર્યો હતો. જો કે, આ રિપોર્ટ લખાય છે ત્યાં સુધી પોલીસે આ સંદર્ભમાં FIR નોંધી ન હતી. આ ઘટના ત્યારે બની જ્યારે તે લક્ષ્મીનગરના ગુરૂ રામદાસ નગરમાં નવાબ અખ્તરના ઘરે તેના વિદ્યાર્થીઓને ટ્યુશન આપીને પરત ફરી રહ્યો હતો. દિવસના સમયે તે એક હિન્દુ દ્વારા ચલાવવામાં આવતી કાપડની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરે છે.પોલીસને આપેલી લેખિત ફરિયાદમાં ઓબૈદુલ્લાહે જણાવ્યું હતું કે, રાત્રે લગભગ ૧૦ઃ૩૦ વાગ્યા હતા જ્યારે તે પોતાની બાઇક પર પાછો ફરી રહ્યો હતો. તેણે ટોપી પહેરી હતી. તેણે કહ્યું કે, તેણે રસ્તા પર ત્રણ યુવાનોને તેની તરફ આવતા જોયા અને તેથી તેણે તેમની પાસેથી થોડા અંતરે તેની બાઇક રોકી. તેઓએ મને ચારે બાજુથી ઘેરી લીધો અને મારી નાખવાની ધમકી આપી, તેમાંથી એકે મારી તરફ પિસ્તોલ તાકી હતી. ફરિયાદ મુજબ આ યુવાનોએ ‘પાકિસ્તાની અને કઠમુલ્લા’ જેવા ઇસ્લામોફોબિક અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેમાંથી એકે પોતાને દીપક તરીકે ઓળખાવ્યો અને કહ્યું કે, તે બ્રાહ્મણ છે અને ‘મુલ્લાઆ’ ને દેશમાં રહેવા દેશે નહીં. ઓબૈદુલ્લાહે આરોપ લગાવ્યો કે, બદમાશોએ તેમનું પર્સ પણ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે, આસપાસ ઘણા લોકો હતા પરંતુ જ્યારે બદમાશોએ મને ખેંચી લીધો, મારા ચહેરા પર અને મારી પીઠ પર માર માર્યો ત્યારે કોઈ મારી મદદે આવ્યું નહીં. એ પછી કેટલાક લોકોએ દરમિયાનગીરી કરી, મને ઉપાડ્યો અને મને મારા જીવ બચાવવા માટે ભાગવા કહ્યું. બે છોકરાઓની મદદથી હું નવાબ અખ્તરના ઘરે દોડી ગયો, જેમના બાળકોને હું ભણાવું છું.તેમણે કહ્યું કે, બદમાશો એક કારમાં ભાગી ગયા હતા જેની પાછળ ‘વાઘના પ્રતીક સાથે મહાદેવ’ લખેલું હતું.