કોવિડ-૧૯ લોકડાઉનના પગલે અટવાયેલા પ્રવાસી શ્રમિકોને આંતરિક રીતે વિસ્થાપિતો તરીકે માન્યતા
આપી હોત તો રાજ્યોએ તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે ઝડપી કાર્યવાહી કરી હોત
(એજન્સી) તા.૩૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે માત્ર ચાર કલાકની ટૂંકી નોટિસ પર ૨૪, માર્ચે જાહેર કરેલા સંપૂર્ણ લોકડાઉનના પગલે જેમની જીંદગી સંપૂર્ણપણે અરાજકતામાં ધકેલાઇ ગઇ હતી એવા હજારો પ્રવાસી શ્રમિકો પ્રત્યે સરકારની ઉદાસીનતા માટે ભારતે જવાબ આપવાનો છે. રોજમદાર નોકરી અને આહાર વગર રઝળી પડેલા કામદારોએ તેમના વતન જવા સામુહિક હિજરત શરૂ કરી હતી. કેટલાક લોકો તો સેંકડો કિ.મી. ચાલીને ગયાં હતાં. આ કટોકટી સાથે કેન્દ્રએ અપર્યાપ્ત રીતે કામ લીધું હોવા છતાં સુપ્રીમકોર્ટે શરુઆતમાં દરમિયાનગિરી કરવાનો ઇન્કાર કરીને જનહિતની અરજીઓ ફગાવી દીધી હતી. તેની સામે મદ્રાસ, આંધ્રપ્રદેશ, બોમ્બે, ગુજરાત અને અન્ય રાજ્યોની હાઇકોર્ટે આ કટોકટીની નોંધ લેતાં આશાનું કિરણ ઊભું થયું હતું અને રાજ્ય સરકારોને તેમના અંગે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા સૂચના આપી હતી તેમજ ફ્રંટ લાઇન વર્કર્સને પીપીઇ તેમજ આહાર, આશ્રય અને પ્રવાસ વ્યવસ્થાની સુવિધાઓ પહોંચે તે સુનિશ્ચિત કરવા આદેશ કર્યો હતો. ૨, મેના રોજ સુપ્રીમકોર્ટે પણ પ્રવાસી શ્રમિકોના પ્રશ્નો અને યાતનાઓ પરની સુઓમોટો રિટ પિટિશન ધ્યાન પર લીધી હતી અને જરુરી આદેશ કર્યા હતા. સુપ્રીમકોર્ટના આદેશ સરાહનીય હતા પરંતુ પ્રતિસાદ આપવામાં તેના દ્વારા વિલંબ થયો હતો. આમ ભારતના પ્રવાસી શ્રમિકોને આંતરિક રીતે વિસ્થાપિતો તરીકે માન્ય રાખીને સ્વીકૃતિ આપવા માટેનો આ સારો કેસ હતો. કોવિડ-૧૯ સંકટે એક વાત પ્રસ્થાપિત કરી છે કે ભારતે આંતરિક રીતે વિસ્થાપિત ૩.૬ મિલિયન લોકો માટે એક સર્વગ્રાહી રાષ્ટ્રીય નીતિ ઘડવાની આવશ્યકતા છે. કોવિડ-૧૯ લોકડાઉનના પગલે અટવાયેલા પ્રવાસી શ્રમિકોને આંતરિક રીતે વિસ્થાપિતો તરીકે માન્યતા આપી હોત તો રાજ્યોએ તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે ઝડપી કાર્યવાહી કરી હોત. પ્રવાસી શ્રમિકોને આંતરિક રીતે વિસ્થાપિતો તરીકે સ્વીકૃતિ આપવાથી તેઓ સંસ્થાકીય નિષ્ફળતાનો ભોગ બન્યાં છે તે વાતનો પણ એકરાર થયો હોત.