ધંધુકા, તા.૫
ગુજરાતના ખેડૂતોના દેવા માફી સહિતની સમસ્યા રાજ્યમાં લોકતંત્ર બચાવો અને નાગરિક અધિકાર અંગે ધંધુકા તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ દિનપ્રતિદિન દયનીય થતી જાય છે. ખેડૂતોની આત્મહત્યાની ઘટનાઓ રોજીંદી અને સામાન્ય બની ગઈ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યમાં સંવેદનહીનતાના કારણે સમસ્યાઓ વધી રહી છે. ત્યારે વિરોધપક્ષ, સામાજિક સંસ્થાઓ કે સામાજિક સંગઠનોને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની મંજૂરી આપવામાં આવતી નથી. જ્યારે કોઈ વ્યક્તિ આંદોલન કરે ત્યારે રાજ્ય સરકાર દ્વારા યેનકેન પ્રકારે તે આંદોલનને દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. રાજ્યમાં શિક્ષણનું ખાનગીકરણ અને વ્યાપારીકરણ આરોગ્ય સેવાની કથળેલી હાલત, દેવાના બોજ નીચે દબાયેલા ખેડૂતો, કૃષિ ઉપજમાં પોષણક્ષમ ભાવનો અભાવ તેમજ આર્થિક અંધાધૂંધીના કારણે વધતી બેરોજગારીમાં ઘસાતુ યુવાધન છેલ્લા કેટલાક વર્ષથી અધિકારોના રક્ષણ માટે અવાજ ઉઠાવીને અહિંસાના માર્ગે આંદોલન કરવા મંજૂરીઓ માંગે ત્યારે યુવાનોના ઉકળાટનો અવાજ દબાવવા અત્યાચાર કરીને સરકાર શું છુપાવવા માંગે છે ? એવો પ્રશ્ન ઊભો થયો છે ત્યારે આ સંજોગોમાં ખેડૂતોના દેવા માફી, ખાતર પરના વેરા નાબુદ કરવા, ખેતીની પુરતી સુવિધાઓ આપવા, ખેદપેદાશો માટે પોષણક્ષમ ભાવે ખરીદીની વ્યવસ્થા જેવી અનેક માગણીઓ સાથે ખેડૂતોના હિતમાં તાકીદે પગલાં ભરવા ધંધુકા તાલુકા કોંગ્રેસે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.