અમદાવાદ, તા.૪
ગુજરાતમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે એકદમ મોટા સમાચાર આવી ગયા છે. આજે ગાંધીનગર ખાતે માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભા મળી હતી. તેમાં નિર્ણય લેવાયો છે કે હવે મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ રાત્રિશાળા શરૂ થઇ શકે છે. તેમજ પ્રામાણિક-તેજસ્વી વિદ્યાર્થી ઇચ્છે તો તેમને પરીક્ષા કેન્દ્ર બદલવાની છૂટછાટ પણ આપવા મુદ્દા પણ ચર્ચાયા હતા. આજે મળેલી બેઠકમાં બે મહત્વના મુદ્દા પર એક મુદ્દો એ હતો કે ગરીબ અને મધ્યમવર્ગના બાળકો જે મજૂરી કરવા જતાં હોય છે તેમનું શિક્ષણનું સ્તર ઉંચું લાવવું હોય તો રાત્રિશાળાને મંજૂરી આપવા પડશે. આ મુદ્દે ચર્ચા થઇ અને તેને લીલીઝંડી આપી દેવામાં આવી છે. જે બાળકો રેગ્યુલર અભ્યાસ માટે સ્કૂલે જઇ શકતા નથી તેમના માટે આ એક સારો નિર્ણય છે. હવે જો કોઇ સ્કૂલ રાત્રિશાળા ચલાવા માટે તમામ સુવિધા આપવા સજ્જ હોય અને માંગણી કરશે તો તેને મંજૂરી અપાશે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં રાત્રે ૯ થી ૧૨ની સ્કૂલ ચાલે છે. જ્યારે ગુજરાતમાં દિવસ દરમ્યાન જ શાળા ચાલે છે. જ્યારે બીજો એક અગત્યનો નિર્ણય એ લેવાયો કે કેટલીક વખત હોશિયર વિદ્યાર્થીઓને ખોટ જતી હોય છે. એટલે કે કયારેક એવું બનતું હોય છે કે કેટલાંક કેન્દ્રોમાં ગેરરીતિના પ્રમાણના લીધે પરિણામ રોકી રાખવામાં આવે છે, ત્યારે આવા સમયે હોશિયાર વિદ્યાર્થીઓને ખોટ જતી હોય છે. તો હવેથી જો કોઇ પ્રામાણિક કે તેજસ્વી વિદ્યાર્થીને લાગે કે તેમને ફાળવવામાં આવેલા કેન્દ્રમાં ગેરરીતિનું પ્રમાણ કે ચોરી વધુ થાય છે તો તેઓ પોતાનું પરીક્ષા કેન્દ્ર બદલાવી શકે છે. જો જિલ્લા મથકે પસંદ કરેલા કેન્દ્રમાંથી અન્ય કેન્દ્રમાં જવું હોય તો તેની છૂટછાટ મળશે.