
ગયા વર્ષે ઓગસ્ટમાં અનુસૂચિત જાતિના ૧૭ વર્ષીય ચિન્નાદુરાઈ જાતિની હિંસાનો ભોગ બન્યા પછી તેણે પ્લસ ટુ પૂર્ણ કરવાનો ઈરાદો લગભગ છોડી દીધો હતો
(એજન્સી) તા.૯
તમિલનાડુના તિરૂનેલવેલી જિલ્લામાં ૨૦૨૩માં જાતિ આધારિત હુમલામાં બચી ગયેલા એક દલિત વિદ્યાર્થીએ ધોરણ ૧૨ તમિલનાડુ બોર્ડની પરીક્ષામાં ૭૮ ટકા ગુણ મેળવીને તેની શૈક્ષણિક શ્રેષ્ઠતા સાબિત કરી છે. અનુસૂચિત જાતિના ૧૭ વર્ષીય ચિન્નાદુરાઈએ ગયા વર્ષે ઓગસ્ટમાં જાતિ હિંસાનો ભોગ બન્યા પછી ધોરણ ૧૨ પૂર્ણ કરવાનો તેમનો ઈરાદો લગભગ છોડી દીધો હતો. ચિન્નાદુરાઈએ ધોરણ ૧૨ની પરીક્ષામાં ૬૦૦માંથી ૪૬૯ માર્ક્સ મેળવ્યા છે. તિરૂનેલવેલીના નાંગુનેરીમાં ચિન્નાદુરાઈની શાળાના છ વિદ્યાર્થીઓએ તેમના ઘરે આવીને તેમના પર હુમલો કર્યો હતો, જેમાં તેમને ધણી ઈજાઓ થઈ હતી. તેમના હાથ અને શરીર પર ઘણી ઇજાઓ હોવા છતાં, તેમણે લેખકની મદદથી તેના પરીક્ષાના પેપર આપવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કોમ્પ્યુટર એપ્લીકેશનમાં ૯૪ માર્ક્સ, અંગ્રેજીમાં ૯૩ માર્ક્સ, એકાઉન્ટન્સીમાં ૮૫ માર્ક્સ, કોમર્સમાં ૮૪ માર્ક્સ, તમિલમાં ૭૧ માર્ક્સ અને ઇકોનોમિક્સમાં ૪૨ માર્ક્સ મેળવ્યા છે.
મીડિયા સાથેની એક મુલાકાતમાં, ચિન્નાદુરાઈએ કહ્યું કે, “હું ખૂબ જ ખુશ છું કે મેં જાહેર પરીક્ષામાં સારા ગુણ મેળવ્યા છે. જ્યારે હું હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો ત્યારે શિક્ષકો મને ભણાવવા આવ્યા હતા. તેથી જ હું સારા ગુણ મેળવી શક્યો છું. વર્તમાનમાં શાળામાં જાતિ વિશે કોઈ સમસ્યા નથી.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેઓ આશા રાખે છે કે ભવિષ્યમાં વિદ્યાર્થીઓમાં જાતિ આધારિત સમસ્યા નહીં રહે. ચિન્નાદુરાઈની નાની બહેન ચંદ્રા સેલ્વી, જેમને પણ હુમલામાં ઈજા થઈ હતી, તેણે તેના ભાઈએ સારા માર્ક્સ મેળવ્યા અંગે ખુશી વ્યક્ત કરી હતી.
હુમલા પછી, ચિન્નાદુરાઈએ શાળા છોડી દેવાનો નિર્ણય લીધો હતો પરંતુ તેની શાળાના શિક્ષકો અને વડીલોએ તેને અભ્યાસ ચાલુ રાખવા અને બોર્ડની પરીક્ષા આપવા માટે સમજાવ્યા હતા. તેમણે કહ્યું કે, તે કોમર્સમાં સ્નાતકની ડિગ્રી મેળવવા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગે છે. ચેન્નાઈના ડિરેક્ટોરેટ ઓફ પબ્લિક ઈન્સ્ટ્રક્શન (ડ્ઢૈઁં) કેમ્પસમાં જાહેર કરાયેલા ૧૨માં ધોરણની પરીક્ષાના પરિણામો અનુસાર આ વર્ષે માર્ચમાં બોર્ડની પરીક્ષામાં હાજર રહેલા ૭,૬૦,૬૦૬ વિદ્યાર્થીઓમાંથી કુલ ૭૧૯,૧૯૬ પાસ થયા છે.