તંત્રીલેખ :- રોહિત વિના ભારતીય ટીમ અધૂરી; છેલ્લી ૭ મેચમાં ભારતનો પરાજય

ભારતીય ટીમ હાલ ઓસ્ટ્રેલિયામાં છે. જ્યાં બંને દેશો વચ્ચે હાલ વન-ડે સિરીઝ રમાઈ રહી છે પણ આ વન-ડે સિરીઝને યજમાન ટીમ ઓસ્ટ્રેલિયાએ જીતી લીધી છે. કારણ કે ત્રણ વન-ડે મેચોની સિરીઝની પ્રથમ બે મેચ કાંગારૂ ટીમે પોતાના નામે કરી લીધી છે. વાત અહીંયા હાર-જીતની નથી, પણ દરેક વખત ભારતીય ટીમના પરાજયની વાત છે. હવે તમે વિચારી રહ્યા હશો કે એવી કઈ વાત છે. વાસ્તવમાં ભારતીય ટીમે છેલ્લી સાત આંતરરાષ્ટ્રીય મેચોમાં એક પણ મેચ જીતી નથી. હેરાન કરનારી વાત એ છે કે આ સાતેય મેચોમાં ઓપનર રોહિત શર્મા ટીમનો હિસ્સો રહ્યો નથી. આને સંયોગ કહો કે રોહિત શર્માનો પ્રભાવ એ સમજની બહાર છે. જો કે એક વાત સ્પષ્ટ છે કે ભારતીય ટીમ રોહિત શર્મા વિના અધૂરી લાગી રહી છે. કારણ કે ટીમને સારી શરૂઆત મળી રહી નથી. જેનું નુકસાન ભારતને ભોગવવું પડે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે રોહિત શર્મા છેલ્લીવાર ફેબ્રુઆરીમાં ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતીય ટીમ માટે મેદાન ઉપર ઉતર્યો હતો. કિવિ ટીમ વિરૂદ્ધ રોહિતે ટી-ર૦ મેચ રમી હતી. જેમાં ટીમનો વિજય થયો હતો પણ ત્યારબાદ તે ઈજાગ્રસ્ત થઈ ગયો અને ટીમની બહાર થઈ ગયો. ભારતે રોહિત વિના ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું અને હેરાન કરનારી વાત છે કે ત્યારથી લઈને અત્યાર સુધી ભારત એકપણ મેચ જીતી શકયું નથી. ભારતે રોહિત શર્મા વિના ન્યુઝીલેન્ડમાં પ્રથમ ત્રણ વન-ડે મેચોની વન-ડે સિરીઝમાં ૩-૦થી પરાજયનો સામનો કર્યો અને પછી બે મેચોની ટેસ્ટ સિરીઝમાં ર-૦થી ભારતીય ટીમનો વ્હાઈટવોશ થયો અને હવે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સતત બે મેચોમાં ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી આઈપીએલ દરમ્યાન થઈ હતી. જેમાં રોહિત શર્માને અનફીટ બતાવી ટીમની બહાર કરી દેવાયો હતો પણ ટીમ પસંદગી બાદ રોહિત શર્માએ આઈપીએલની ફાઈનલમાં અર્ધસદી ફટકારી મુંબઈ ઈન્ડિયન્સને પાંચમીવાર ચેમ્પિયન બનાવ્યું. હવે અહીંયા સવાલ એ ઊભો થાય છે કે રોહિતે ફાઈનલમાં રમીને પોતાની ફિટનેશ તો સાબિત કરી દીધી તો પછી તે ટીમની બહાર કેમ છે. રોહિત શર્માના મુદ્દે બીસીસીઆઈની ચોમેરથી ટીકા થઈ રહી છે.
રોહિત શર્માને ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં તક આપવામાં આવી છે પણ ઓસ્ટ્રેલિયાના ક્વોરન્ટાઈનના નિયમોના કારણે આ ખેલાડી પ્રથમ બે ટેસ્ટમાં રમી શકશે નહીં. આ મુદ્દે પૂર્વ ક્રિકેટર લક્ષ્મણ અને ગૌતમ ગંભીરે બોર્ડની ઝાટકણી કાઢી છે. લક્ષ્મણે કહ્યું કે રોહિતના મુદ્દે મ્ઝ્રઝ્રૈંએ ભૂલ કરી દીધી છે. રોહિતને ટીમની સાથે મોકલવો જોઈતો હતો. હું તેની ટીમમાં પસંદગી કરત અને નામની આગળ લખતો કે ફીટ થશે તો રમશે. હવે તમે રોહિત શર્માને કોમર્શિયલ ફ્લાઈટની સાથે ઓસ્ટ્રેલિયા લઈ જશો તો ત્યાંના નિયમો અનુસાર રૂમની બહાર નીકળી નહીં શકે. આ વાત મ્ઝ્રઝ્રૈંએ વિચારવી જોઈતી હતી. ગૌતમ ગંભીરે કહ્યું કે રોહિત શર્માનો મુદ્દો સરળતાથી ઉકેલી શકાય તેમ હતો. તેમણે કહ્યું કે વધારે લોકોને મીટિંગમાં રાખવાની જરૂર હતી નહીં હેડ ફિઝીયો, મુખ્ય પસંદગીકાર અને હેડ કોચ વચ્ચે તાલમેલ યોગ્ય હોય તો બધું બરાબર રહે છે. ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન બાદ હંમેશાંની જેમ આ વખતે પણ સોશિયલ મીડિયા પર કપ્તાન અને કોચ ટાર્ગેટ ઉપર છે. સોશિયલ મીડિયા પર પ્રશંસકો વિરાટ કોહલીને કપ્તાનપદેથી અને રવિ શાસ્ત્રીને હેડ કોચપદેથી હટાવવાની માંગ કરી રહ્યા છે. જો કે આ રસપ્રદ વાત છે કે પ્રશંસકો ટીમ ઈન્ડિયાની જવાબદારી રોહિત શર્મા અને ધોનીની જોડીને સોંપવાની વાત કરી રહ્યા છે. સિડનીમાં ટીમ ઈન્ડિયાના પરાજયની સાથે જ પ્રશંસકોએ સોશિયલ મીડિયા ઉપર વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીની રણનીતિઓની ટીકા કરી અને તેમને તુરંત હટાવવાની માંગ કરી છે. ત્યારબાદ રોહિત શર્મા અને ધોનીનું નામ સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડ થવા લાગ્યું. જેમાં પ્રશંસકે લખ્યું છે કે હવે રોહિત શર્માને કપ્તાન બનાવવાનો સમય આવી ગયો છે. સાથે જ પ્રશંસકોએ કહ્યું છે કે ધોનીને ટીમ ઈન્ડિયાનો કોચ અથવા મેન્ટોર બનાવવો જોઈએ, નહીં તો ટીમ ઈન્ડિયાની હાલત આનાથી ખરાબ થશે. અમુક ક્રિકેટના જાણકારોનું માનવું છે કે કોહલી અને રવિ શાસ્ત્રીની જોડી રોહિત શર્માને સાઈડલાઈન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલની સ્થિતિ જોતાં તેમની શંકા ખોટી નથી; પણ જો આ વાત સાચી છે તો આ એક ગંભીર બાબત છે. કારણ કે ભૂતકાળમાં આવી જ રીતે કોચ અનિલ કુમ્બલેનો ભોગ લેવાઈ ચૂક્યો છે. મ્ઝ્રઝ્રૈંએ આ મુદ્દાને ગંભીરતાથી લઈ કાર્યવાહી કરવી જોઈએ. કારણ કે આ કોઈ કલબની ટીમની વાત નથી. આ ભારતીય ટીમની વાત છે. કોઈપણ ખેલાડી મોટો નથી. ભારતીય ટીમમાં રમવા મળ્યું એટલે કે તેનું મહત્ત્વ છે. ખેલાડી નહીં ટીમ મહત્ત્વની છે. ટીમ કોઈ એકના ઈશારે ચાલે તે યોગ્ય નથી. કપ્તાન અને કોચનું કામ ફક્ત મેદાન પૂરતું છે; ટીમની પસંદગી કરવી પસંદગીકારોનું કામ છે; અને પસંદગીની પ્રક્રિયા પૂર્વગ્રહ વિના અને નિષ્પક્ષ થઈ રહી છે તે જોવાનું કામ મ્ઝ્રઝ્રૈંનું છે. રોહિત શર્મા જો આવા જ કોઈ ષડયંત્રનો શિકાર બનીને ટીમની બહાર હોય તો તે ગંભીર બાબત છે અને મ્ઝ્રઝ્રૈંએ આકરા પગલા લઈ બધાને પોતપોતાની હદ સમજાવવી જોઈએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks