તમિલનાડુના શિવગંગામાં ‘બુલેટ’ ચલાવવા બદલ સવર્ણ હિન્દુ પુરૂષો દ્વારા દલિત વિદ્યાર્થીના હાથ કાપવામાં આવ્યા

સવર્ણ હિન્દુ યુવાનોએ ઈય્યાસામીનો સામનો કર્યો અને તેમના પર તીક્ષ્ણ હથિયારોથી  હુમલો કર્યો અને કહ્યું કે દલિતોએ ઉચ્ચ કક્ષાની બાઇક ન ચલાવવી જોઈએ
 

 

(એજન્સી) 
શિવાગંગા, તા.૧૪
શિવગંગા જિલ્લાના મેલાપીડાવુર ગામના ૨૧ વર્ષીય દલિત વિદ્યાર્થી પર મોડી સાંજે ‘બુલેટ’ ચલાવવા બદલ સવર્ણ હિન્દુઓએ હુમલો કર્યો. દલિત યુવાન આર ઈય્યાસામીના બંને હાથ પર ઇજાઓ થઈ છે. તે હાલમાં લગભગ ૪૫ કિમી દૂર મદુરાઈની સરકારી રાજાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસના જણાવ્યાં અનુસાર, જ્યારે ઈય્યાસામી પોતાની મોટરસાઇકલ પર ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે તેનો સામનો તે જ ગામના ત્રણ સવર્ણ હિન્દુઓ, આર વિનોથકુમાર (૨૧), એ અતીશ્વરન (૨૨) અને એમ વલ્લારાસુ (૨૧) દ્વારા કરવામાં આવ્યો. ત્યારબાદ, તેઓએ તેમના પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો. ઘાયલ કોલેજ વિદ્યાર્થીના સંબંધી મુનિયાસામીએ જણાવ્યું હતું કે, સવર્ણ હિન્દુ માણસોએ ઈય્યાસામીના હાથ કાપીને કહ્યું હતું કે, ‘ફક્ત ઉચ્ચ સમુદાયના યુવાનો જ ઉચ્ચ કક્ષાની બાઇક ચલાવી શકે છે, દલિતોએ આવી બાઇક ન ચલાવવી જોઈએ.’ તેમણે તેની જાતિનો ઉલ્લેખ કરીને તેની સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો. તેમણે ઉમેર્યું, જો ઈય્યાસામી ત્યાંથી ભાગી જઈને ઘરે પહોંચવામાં સફળ ન થયો હોત તો ટોળકીએ તેની હત્યા કરી હોત. પરિવારના સભ્યો ઈય્યાસામીને હોસ્પિટલમાં લઈ ગયા પછી, સવર્ણ હિન્દુઓએ દલિત પરિવારના ઘરમાં તોડફોડ કરી હતી. મુનિયાસામીએ નોંધ્યું હતું કે, ગામમાં ઘણા સમયથી જાતિ ભેદભાવ પ્રવર્તી રહ્યો છે, તેમણે પરિવાર માટે પોલીસ સુરક્ષાની માંગ કરી હતી. ઈય્યાસામીના પિતા, બૂમીનાથને જણાવ્યું હતું કે સવર્ણ  હિન્દુઓ વિસ્તારમાં ‘બુલેટ’ બાઇક ચલાવતા મારા પુત્રથી નારાજ હતા. અગાઉના એક પ્રસંગે, તેઓએ બાઇકને નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસ સૂત્રોએ હુમલાનું મુખ્ય કારણ ‘બુલેટ’ મુદ્દો હોવાનો ઇન્કાર કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ઈય્યાસામીએ એક શંકાસ્પદ, અતીશ્વરનને છેડ્યો હતો. તેમની વચ્ચે પહેલાથી જ ઝઘડો થઈ ચૂક્યો હતો. જો કે, તપાસ હજુ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું હતું. સિપકોટ પોલીસે વિનોથકુમાર, અતીશ્વરન અને વલ્લારાસુ સામે બીએનએસની કલમ ૨૯૬ (૧), ૧૨૬ (૨), ૧૧૮ (૧), ૩૫૧ (૩) અને એસસી/એસટી એક્ટની કલમ ૩(૧)(િ)(જ) હેઠળ કેસ નોંધ્યો છે. તેમની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. ઇય્યાસામી શિવગંગાની એક કોલેજમાં યુજી ગણિતના ત્રીજા વર્ષનો વિદ્યાર્થી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts