(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૪
ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લેમીનના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીનો નવો વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ એક કાર્યક્રમમાં સંબોધન કરતા દેખાઇ રહ્યા છે. તેમણે કહ્યું કે, જો બાબરી મસ્જિદ જશે તો પછી તેઓ એક હજાર-બે હજાર મસ્જિદના મુદ્દાને કાઢીને લાવશે. ત્યારપછી ધીમે-ધીમે એક બાદ એક નવા મુદ્દા લાવશે. તેમણે કહ્યું કે, હવે તેઓ એમ પણ કહે છે કે, તાજમહેલ તેજો મંદિર હતું. અગાઉ ભાજપના વિવાદાસ્પદ સાંસદ વિનય કટિયારે વાંધાજનક નિવેદન આપતાં તાજમહેલને શિવ મંદિર અથવા તેજો મંદિર ગણાવ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે, મંદિરને મુઘલ બાદશાહ શાહજહાંએ મકબરામાં ફેરવી નાખ્યું હતું. તાજમહેલએક હિંદુ મંદિર હતું. જેના પર ઓવૈસીએ ટિખળ કરતા કહ્યું કે, તમારા પપ્પા આવ્યા હતા, મને ખબર હતી, પછી કોઇ એમ પણ કહેશે કે તમામ ૧૭ કરોડ મુસ્લિમોને બહાર કાઢી દેવામાં આવે. આ ઉપરાંત ઓવૈસીએ સોમવારે બાબરી મસ્જિદ પર પોતાનો મત વ્યક્ત કરનારા મૌલાના સલમાન હુસૈની નદવી પર મજાક કરતા કહ્યું હતું કે, તેઓ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડમાં તિરાડ પાડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇશારે કામ કરી રહ્યા છે. તેમણે મંદિર માટે બાબરી મસ્જિદની જમીન છોડનારાઓનો સામાજિક બહિષ્કાર કરવાનું પણ આહ્વાન કર્યુ હતંું.