(એજન્સી) હૈદરાબાદ,તા.૨૧
પાકિસ્તાનમાં જન્મેલા પરંતુ ૨૦૦૪થી તેલંગાણાના નિઝામાબાદ જિલ્લામાં રહેતા ત્રણ ભાઈઓને ભારતની નાગરિકતા આપવામાં આવી છે. જિલ્લા પ્રસાશનના એક અધિકારીએ પાકિસ્તાની નાગરિક મોહંમદ સનાન, મોહમ્મદ રૂમાન અને મોહમ્મદ સૈફ નિઝામાબાદ રાજસ્વ મંડલીય અધિકારીએ તેમની માતાની હાજરીમાં તેઓને ભારતીય નાગરિકતા હોવાનું પ્રમાણપત્ર આપ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે તેમની માતા નિઝામાબાદના રહેવાસી છે.તેઓએ ૧૯૮૮માં દૂરના સંબંધી અને પાકિસ્તાની નાગરિક સાથે લગ્ન કર્યા હતા અને પાકિસ્તાન જતા રહ્યા હતા. અધિકારી મુજબ ૨૦૦૪માં દંપતીના તલાક થઈ ગયા અને એ જ વર્ષે મહિલા નિઝામાબાદ પાછી આવી ગઈ ત્યારથી તેમના બાળકો લાંબા સમયથી વિઝા પર રહી રહ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે નિયમ મુજબ કોઇપણ વિદેશી નાગરિક દેશમાં સાત વર્ષ રહ્યા બાદ ભારતની નાગરિકતા માટે અરજી કરી શકે છે. મહિલાએ ૨૦૧૬માં પોતાના ત્રણ બાળકોને ભારતીય નાગરિકતા આપવા અરજી કરી હતી. તપાસ બાદ તેમની ફાઈલને રાજ્ય સરકારને મોકલવામાં આવી હતી. ત્યારબાદ ફાઈલને ગૃહ મંત્રાલય મોકલવામાં આવી. કેન્દ્રએ હાલમાં તેમની અરજીને મંજૂરી આપી છે અને ત્યારબાદ તેઓને ભારતીય નાગરિકતા પ્રદાન કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું કે, ત્રણેયને નાગરિકતા પત્ર સોંપવામાં આવ્યા હતા.