દિલ્હીના દલિત આયુર્વેદ વિદ્યાર્થીનું અકસ્માતમાં મૃત્યુ, ‘રેગિંગ, હત્યા’ ૬ લોકો અને કોલેજ મેનેજમેંટ વિરૂદ્ધ FIR દાખલ

(એજન્સી) મેરઠ, તા.૨૯
દિલ્હીના બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી (BAMS)ના પ્રથમ વર્ષના વિદ્યાર્થીનું સહારનપુરમાં તેની કોલેજ નજીક અજાણ્યા વાહને ટક્કર મારતાં મૃત્યુ થયું, જેના કારણે તેના પરિવાર અને સાથી વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો કે, તેની રેગિંગ કરીને હત્યા કરવામાં આવી હતી અને આ અકસ્માતને આકસ્મિક ગણાવવામાં આવ્યો હતો. ગૌતમના પિતાની ફરિયાદના આધારે, પોલીસે સોમવારે છ વિદ્યાર્થીઓ-મોહિત, હર્ષ, હર્ષિત, આસિફ, શિવમ અને મોનુ પંડિત -અને કોલેજ મેનેજમેન્ટ વિરૂદ્ધ BNS  કલમ ૧૦૫ (હત્યા ન ગણાતા ગુનાહિત હત્યા) અને ૬૧ (ગુનાહિત કાવતરૂં) હેઠળ FIR નોંધી છે. કેસમાં SC/ST કાયદાની જોગવાઈઓ લાગુ કરવામાં આવી નથી. બિહારીગઢના SHO અક્ષય શર્માએ જણાવ્યું હતું કે, “એફઆઈઆરમાં ચાલુ રેગિંગ અને માનસિક ઉત્પીડનના આરોપો શામેલ છે. અમે સાક્ષીઓના નિવેદનો, CCTV ફૂટેજ અને ફોરેન્સિક પુરાવા દ્વારા આ દાવાઓની ચકાસણી કરી રહ્યા છીએ”. એસપી (ગ્રામીણ) સાગર જૈને જણાવ્યું હતું કે, “પ્રારંભિક પુરાવા માર્ગ અકસ્માત તરફ ઇશારો કરે છે. જો કે, બધા આરોપોની તપાસ કરવામાં આવી રહી છે. કોલેજ સ્ટાફ અને વિદ્યાર્થીઓની ભૂમિકાની તપાસ કરવામાં આવશે. સંડોવાયેલા વાહનને શોધવા માટે સીસીટીવી ફૂટેજની સમીક્ષા કરવામાં આવી રહી છે.” દિલ્હીના બુધ વિહાર ફેઝ ૧ના રહેવાસી અને ગયા મહિને જ ગુરૂ દ્રોણાચાર્ય આયુર્વેદિક સંસ્થામાં પ્રવેશ મેળવનાર ૨૫ વર્ષીય દલિત વિશાલ ગૌતમ કેમ્પસમાં એક હોસ્ટેલમાં રહેતો હતો. પોલીસે જણાવ્યું હતું કે, ગૌતમ અને તેના સાથી વિદ્યાર્થી રવિવારે સાંજે મોટરસાયકલ ચલાવી રહ્યા હતા ત્યારે સંસ્થાથી લગભગ ૫૦૦ મીટર દૂર ખુશાલીપુર ગામ પાસે એક ઝડપી વાહને તેમને ટક્કર મારી હતી. ગૌતમને માથામાં ઈજા થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. તેના સાથીને ઈજા થઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. કોલેજે ટિપ્પણી માટેની વિનંતીઓનો જવાબ આપ્યો ન હતો. ઘટના પછી તરત જ, વિદ્યાર્થીઓ અને કોલેજ સ્ટાફે પોલીસને જાણ કરી, અને ગૌતમનો પરિવાર ઘટનાસ્થળે પહોંચ્યો. ભીમ આર્મીના સભ્યો તેમની સાથે જોડાયા, જેમણે કેમ્પસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરિવારના સભ્યોએ કોલેજ પર રેગિંગની વારંવારની ફરિયાદોને અવગણવાનો આરોપ લગાવતા અને દાવો કર્યો કે મૃત્યુ આયોજિત હુમલાનું પરિણામ છે, તેથી વિરોધ વધુ તીવ્ર બન્યો હતો. ગૌતમના પિતા, પાતે બહાદુરે જણાવ્યું હતું કે, ઘટના પછી સંસ્થા વહીવટીતંત્ર કોઈ સંપર્કમાં નહોતું. તેમણે કહ્યું કે, “તેણે પ્રવેશ મેળવ્યો ત્યારથી જ સિનિયરો દ્વારા તેને હેરાન કરવામાં આવી રહ્યો હતો અને રેગિંગ કરવામાં આવી રહ્યું હતું. તેણે અનેક ફરિયાદો નોંધાવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. તેના મૃત્યુ પછી, સ્ટાફ ગાયબ થઈ ગયો અને જવાબ આપવાનું બંધ કરી દીધું,”. બહાદુરે વધુમાં આરોપ લગાવ્યો કે, આરોપી વિદ્યાર્થીઓ ગૌતમને બળજબરીથી મોટરસાયકલ પર લઈ ગયા, તેના ફોન સાથે છેડછાડ કરી અને તેની હત્યા કરી. તેમણે કહ્યું કે, “તેઓએ આ ઘટનાને અકસ્માત તરીકે રજૂ કરી હતી”.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts