(એજન્સી) સહારનપુર, તા.૧૪
સોમવારે સહારનપુર જિલ્લાના દેવબંદમાં ઉશ્કેરણીજનક પોસ્ટરો જોવા મળ્યા હતા. આ પોસ્ટરોમાં ઈસ્લામિક સંસ્થાઓમાં ભણતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ માટે ધમકી લખવામાં આવી હતી કે તેઓ વહેલી તકે ભારત છોડી ચાલ્યા જાય. આ ઘટનાની એક કલાક પછી સહારનપુરના પોલીસ સુપ્રિટેન્ડન્ટ બબલુ કુમારે કહ્યું હતું કે, આ વિશે તપાસ શરૂ કરવામાં આવી છે અને આના માટે જવાબદાર લોકોની ધરપકડ કરવામાં આવશે.
આ પોસ્ટરોને દીવાલો અને મસ્જિદો પર લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરોમાં લખ્યું હતું કે, જો બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ એક મહિનામાં ભારત છોડીને ચાલ્યા નહીં જાય તો તેઓને ભયાનક પરિણામોનો સામનો કરવો પડશે. આ પોસ્ટરોમાં દારૂ ઉલૂમ દેવબંદ અને બીજી ઈસ્લામિક સંસ્થાઓમાં ભણતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓના નામ અને નંબર પણ આપવામાં આવ્યા હતા.
દેવબંદમાં વિશ્વ પ્રસિદ્ધ દારૂલ ઉલૂમ આવેલું છે અને આ ઘટના એ સમયે સામને આવી છે જ્યારે દારૂલ ઉલૂમ દેવબંદના ઉપકુલપતિ અબુલ કાસીમ નૌમાની ૧૦ દિવસની બાંગ્લાદેશ યાત્રાએ ગયા છે.