ધોરણ-૧૨ બાદ વિદ્યાર્થીઓને ભારે મૂંઝવણ, પાંચ વર્ષનો ઇન્ટીગ્રેટેડ કોર્ષ કરવો કે ત્રણ વર્ષનો સ્નાતકનો કોર્ષ ?

જે મિત્રો કરિયર નક્કી કરી શકતા ના હોય અને પછીથી વિચાર કરીને સમય – સંજોગો પ્રમાણે આગળ વધવું હોય તો તેઓ પણ ત્રણ વર્ષનો કોર્ષ કરીને પાછળથી કારકિર્દીને આકાર આપી શકે છે. ત્રણ વર્ષના કોર્ષના ફાયદા એ છે કે તેની ફી ઓછી હોય છે અને અભ્યાસ સિવાયની પ્રવૃત્તિ કરવા માટે સમય મળી રહે છે. જ્યારે પાંચ વર્ષના કોર્ષનો ફાયદો એ છે કે તમારી કારકિર્દીની ગાડી પાટે ચડી જાય છે. પછી તમારે ભણવા સિવાય ક્યાંય ધ્યાન આપવાનું નથી. પાંચ વર્ષ અભ્યાસ કર્યા બાદ જે-તે વિષયના નિષ્ણાત તરીકે બહાર આવી શકાય છે. બન્ને કોર્ષના પોતાના ફાયદા અને ગેરફાયદા હોવાથી અહીં જણાવેલી માહિતી પ્રમાણે આગળ વધીને નિર્ણય લઇ શકાય.

મિત્રો છેલ્લા થોડાક વર્ષોથી યુનિવર્સિટીઓમાં પાંચ વર્ષના ઇન્ટીગ્રેટેડ એટલે સમાવિષ્ટ અભ્યાસક્રમો લોન્ચ કરવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓને તેમાં અભ્યાસ કરવા માટે ઉત્તેજન અને આગ્રહ કરવામાં આવે છે. આથી ઘણા બધા વિદ્યાર્થીઓ મૂંઝવણ અનુભવતા હોય છે કે આના માટે નિર્ણય કેવી રીતે લેવો. ધોરણ-૧૨ પછી આવા પાંચ વર્ષના ઇન્ટીગ્રેટેડ કોર્ષીષ અલગ અલગ વિષયોમાં થતા હોય છે ત્યારે ચાલો આજે જાણીએ આવા કોર્ષ વિશે માહિતી અને આવા કોર્ષ કોણે કરવા જોઇએ અને કોણે ના કરવા જોઇએ. તો જો વિદ્યાર્થીઓ અને વાલીઓ આ બાબતે મૂંઝવણ અનુભવતા હોય તેઓ પોતાનો નિર્ણય યોગ્ય રીતે લઇ શકે. આ લેખ એટલા માટે મહત્ત્વનો છે કે, ધોરણ-૧૨ની પરીક્ષા પૂર્ણ થઇ ગઇ છે અને હવે ગણતરીના દિવસોમાં પરિણામો પણ જાહેર થશે ત્યારે અત્યારથી જ જો નિર્ણય લેવામાં આવ્યો હોત તો કારકિર્દીની ગાડીમાં આગળ વધી શકાય તેમ છે.

  • પાંચ વર્ષનો કોર્ષ કરવો કેમ જરૂરી ?
    પહેલા તો એવું માનવામાં આવતું હતું કે સ્નાતક થઇ ગયા એટલે બહું થઇ ગયું. નોકરી મળી જાય એટલે આખી ઝીંદગી તેમાંને તેમાં જ પસાર થઇ જાય. પરંતુ હવે સ્થિતિ બદલાઇ છે. લોકો અભ્યાસ પ્રત્યે જાગૃત થયા છે, નોકરી મેળવવા માટેની સ્પર્ધામાં ખૂબ જ વધારો થયો છે, બીજું કે હવે ઇન્ટરનેટ, ઇન્ફર્મેશન ટેકનોલોજી, સાયન્સ, ક્રીએટીવ આર્ટસ, ડિઝાઇનીંગ, આર્કીટેક્ટર અને કોમ્પ્યુટરના યુગના કારણે વિશ્વના ટ્રેન્ડ સાથે કદમથી કદમ મિલાવી શકે તેવા યુવાનોની ભરતી કરવામાં આવી રહી છે ત્યારે સ્નાતક કક્ષાના ઉમેદવારોનો અભ્યાસ તેમના ક્ષેત્રનો મર્યાદિત હોય છે જ્યારે માસ્ટર ડિગ્રી કરનાર જે પણ ક્ષેત્રનો હોય તેનો નિષ્ણાત થઇને બહાર આવ્યો હોય છે. આથી કંપનીઓ હવે માત્ર માસ્ટર ડિગ્રીવાળાઓને જ લેવાનો આગ્રહ રાખતી હોય છે. સ્નાતક ડિગ્રી કરનારને સામાન્ય જોબથી સંતોષ માનવો પડતો હોય છે. વળી વિદ્યાર્થીઓ પણ પોતાની જાતને પહેલેથી જ તૈયાર કરી દે છે કે તેઓને માસ્ટર ડિગ્રી તો કરવી જ પડશે. એટલે જ તો હવે ઇન્ટીગ્રેટેડ કોર્ષની ડિમાન્ડ વધી ગઇ છે. તમામ ખાનગી અને હવે તો સરકારી યુનિવર્સિટીઓ પણ ઇન્ટીગ્રેટેડ કોર્ષ ડિઝાઇન કર્યા છે.
    જેમાં ઇન્ટીગ્રેટેડ બીબીએ+એમબીએ, બીસીએ+એમસીએ, બીએસસીઆઇટી+એમએસસીઆઇટી, +બીટેક+એમટેક, ઇન્ટીગ્રેજેડ લોમાં બીબીએ એલએલબી, બી.કોમ એલએલબી સહિતના કોર્ષનો સમાવેશ થાય છે. આ તમામ હવે પાંચ જ વર્ષના થઇ ગયા છે અને વિદ્યાર્થીઓમાં પણ ભારે આવકાર પામ્યા છે સિવાય જો તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, એલએલબી, હોટલ મેનેજમેન્ટ કરવું હોય તો પણ લઘુત્તમ લાયકાત તો સ્નાતકની હોય જ છે. જો સાયન્સ સ્ટ્રીમની વાત કરૂ તો જો તમે બીએસસી, બી ફાર્મ, બીડીએસ, એમબીબીએસ કે અન્ય કોઇ સંલગ્ન સ્નાતક કક્ષાના કોર્ષ કરો તો તમારા કરિયરની સામાન્ય શરૂઆત જ થાય છે પરંતુ માસ્ટર ડિગ્રીની તો વાત જ કંઇક અલગ હોય છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા તો અલગ અલગ વિષયોની વિશાળ રેન્જમાં પાંચ વર્ષના ૪૬ જેટલા કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે. તેની જાણકારી મેળવવી હોય તો ય્ેદ્ઘટ્ઠટ્ઠિં ેંહૈદૃીજિૈંઅની વેબસાઇટ ઉપર જઇને તપાસ કરી શકાય છે અને ત્યારબાદ રૂબરૂ મુલાકાત લઇને કોર્ષ વિશે જાણકારી મેળવી શકાય છે. અમુક કોર્ષ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ ધોરણે પણ થાય છે.
  • માસ્ટર ડિગ્રી કરવાના ફાયદા
    જો અભ્યાસ માટે ખાલી બે વર્ષ વધુ ફાળવી દો તો તમારી સમગ્ર કારકિર્દીમાં એક સુખદ વળાંક આવી જાય છે. તમારી કરિયરની શરૂઆત જ ઊંચા પગારથી અને હોદ્દાથી થાય છે અને તેના કારણે તમને ભવિષ્યમાં ખૂબ જ ફાયદો થાય છે. જ્યારે સ્નાતક કક્ષાએથી નોકરી લીધી હોય તો તે પગાર અને હોદ્દા સુધી પહોંચવા માટે ભારે સંઘર્ષ કરવો પડે છે અને વર્ષો વિતી જાય છે. જો તમે માસ્ટર ડિગ્રી કરી છે એટલે તમે જે-તે ફિલ્ડના નિષ્ણાત બની જાવ છે. આથી તમારી આવડત એક અલગ સ્તરની છે અને તમે તમારી આવડત પ્રમાણે પગાર અને હોદ્દાની માગણી કરી શકો છો. ભવિષ્યમાં બઢતીની તકો પણ વધી જાય છે. જે લોકોએ માસ્ટર ડિગ્રી કરી હોય તેમના માટે સંશોધનની વિશાળ તકો રહેલી હોય છે. તેઓ માસ્ટર ડિગ્રીના અભ્યાસ દરમિયાન કે તે પછી સંશોધન ક્ષેત્રમાં રિસર્ચ ફેલો તરીકે જોડાઇ શકે છે. આ ઉપરાંત કોઇપણ ક્ષેત્રમાં જો તમારે શિક્ષક બનવું હોય તો માસ્ટર ડિગ્રી કરેલી હોય તો તરત નોકરી મળે છે. બીજું કે માસ્ટર ડિગ્રી કરનારને પીએચડીના પણ ચાન્સીસ છે અને તેઓ પીએચડી કરીને ઉત્તમ પગાર સાથે ટોચનો હોદ્દો મેળવી શકે છે. કોલેજોમાં લેક્ચર કે પ્રોફેસર બની શકે છે.
    તમે એક વાત ખાસ નોંધજો કે જો તમે સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ કરતા હોવ ત્યારે કેમ્પસ પ્લેસમેન્ટ ખૂબ જ જૂજ તકો છે. આ ફાયદો માત્ર એન્જિનિયરીંગમાં જ મળે છે પરંતુ તે પણ ચાર વર્ષનો કોર્ષ હોય છે. જ્યારે બીજા કોઇપણ અભ્યાસક્રમ લઇ લો કંપની માસ્ટર ડિગ્રી કરનારને જ કેમ્પસમાં સિલેક્ટ કરવા માટે આવે છે. જ્યારે કંપનીઓ માને છે કે કે સામાન્ય જોબ માટે તો સ્નાતક કક્ષાના ઉમેદવારો જોઇએ તેટલા મળી રહેવાના છે. પહેલા તો ગ્રેજ્યુએટ થયા તો ભયો ભયો જેવી વાત છે પરંતુ માસ્ટર ડિગ્રીવાળાની એક અલગ પ્રતિભા ગણાતી હતી. પરંતુ આજકાલ તો લોકો માસ્ટર ડિગ્રી સુધી તો ભણે જ છે અને તેટલું ભણ્યા હોય તો જ અભ્યાસ પૂરો કર્યો હોવાની એક સામાન્ય લાગણી પ્રવર્તે છે. આથી માસ્ટર ડિગ્રી કરો તો એક સારું શિક્ષણ લીધું હોવાનો સંતોષ થાય છે. ઉપરાંત પાંચ વર્ષ દરમિયાન તમે જે વિષયમાં અભ્યાસ કરો છે તે બાબતે સંપૂર્ણ રીતે તૈયાર થઇ જાવ છો. કારણ કે કોર્ષ જ એ રીતે ડિઝાઇન કરેલો હોય છે.
  • કોણે સ્નાતક સુધીનો જ અભ્યાસ કરવો જોઇએ ?
    લેખના અગાઉના ભાગમાં મેં આપ સૌને પાંચ વર્ષ સુધી અભ્યાસ કરીને માસ્ટર ડિગ્રી કરવા માટે ઇન્ટીગ્રેટેડ કોર્ષના ફાયદા ગણાવ્યા પરંતુ જે લોકોને ત્રણ વર્ષનો અભ્યાસ કરવો હોય તો તેના માટે પણ વિકલ્પો તો ખુલ્લા જ છે. તો અત્રે જણાવ્યું કે સ્નાતક સુધીના અભ્યાસ કોણે કરવા જોઇએ. તો જેને અભ્યાસ પછી બિઝનેસ કરવો હોય કે અભ્યાસ દરમિયાન બિઝનેસ કરવો હોય તો તેઓએ ત્રણ વર્ષનો અભ્યાસ પસંદ કરવો જોઇએ. વળી જેઓ સરકારી નોકરી, ચાર્ટર્ડ એકાટન્ટન્ટ, કંપની સેક્રેટરી વગેરે ભણવા માગતા હોય તેઓ પણ ત્રણ વર્ષનો કોર્ષ પસંદ કરી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ અસમંજસમાં હોય છે કે તેઓ સતત પાંચ વર્ષ સુધી ભણવા માંગે છે કે નહી તેઓ પણ ત્રણ વર્ષનો કોર્ષ કરી શકે છે. બીજી એક મહત્ત્વની વાત અત્રે જણાવી દઉં કે, પાંચ વર્ષનો કોર્ષ મુખ્યત્વે ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા કે અમુક સરકારી યુનિવર્સિટીઓ દ્રારા પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ ધોરણે ચલાવવામા આવે છે. આથી તેની ફી ઊંચી હોય છે. તેના કારણે ઘણા વિદ્યાર્થીઓ જો ફી ચૂકવી શકે તેમ ના હોય તો સરકારી કે ગ્રાન્ટેડ કોલેજોમાં સ્નાતક અને સ્નાતક બાદનો અભ્યાસક્રમ કરી શકે છે. પાંચ વર્ષનો અભ્યાસ કરવાની આ સૌતી મોટી મર્યાદા અને પડકાર છે. જે મિત્રો કરિયર નક્કી કરી શકતા ના હોય અને પછીથી વિચાર કરીને સમય – સંજોગો પ્રમાણે આગળ વધવું હોય તો તેઓ પણ ત્રણ વર્ષનો કોર્ષ કરીને પાછળથી કારકિર્દીને આકાર આપી શકે છે. ત્રણ વર્ષના કોર્ષના ફાયદા એ છે કે તેની ફી ઓછી હોય છે અને અભ્યાસ સિવાયની પ્રવૃત્તિ કરવા માટે સમય મળી રહે છે. જ્યારે પાંચ વર્ષના કોર્ષનો ફાયદો એ છે કે તમારી કારકિર્દીની ગાડી પાટીએ ચડી જાય છે. પછી તમારે ભણવા સિવાય ક્યાંય ધ્યાન આપવાનું નથી. પાંચ વર્ષ અભ્યાસ કર્યા જે-તે વિષયના નિષ્ણાત તરીકે બહાર આવી શકાય છે. બન્ને કોર્ષના પોતાના ફાયદા અને ગેરફાયદા હોવાથી ઉપર જણાવેલી માહિતી પ્રમાણે આગળ વધીને નિર્ણય લઇ શકાય.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks