ટિકિટ વિતરણમાં ગેરરીતિના આક્ષેપોના પગલે બિહાર વિધાનસભાની ચૂંટણીની વ્યવસ્થા સંભાળવા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાની ટીમ નિયુક્ત કરી છે, રાહુલ ગાંધી જે રીતે બિહાર પ્રદેશ કોંગ્રેસ સમિતિએ રાજ્યમાં પક્ષની બાબતો સંભાળી છે તેનાથી નારાજ હોવાનું કહેવાય છે
(એજન્સી) તા.૧૪
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બિહાર વિધાનસભાની ૨૦૨૦ની ચૂંટણી માટે ટિકિટ વહેચણીમાં ગેરરિતીઓના રિપોર્ટ પર નારાજ છે.તેમની નારાજગીને કારણે કોંગ્રેસ નેતૃત્વએ રવિવારે ચૂંટણી વ્યવસ્થાપન માટે ધરખમ ફેરફારો કર્યા છે. કોંગ્રેસના ચૂંટણી વ્યવસ્થાપન માળખામાં કરવામાં આવેલા ફેરફારના પગલે એવા તર્ક વિતર્કો વહેતાં થયાં છે કે પક્ષના ત્રણ વરિષ્ઠ નેતાઓને પક્ષની ચકાસણી સમિતિમાંથી પડતાં મૂંકવામાં આવ્યાં છે.કોંગ્રેસને જો કે આ અંગેના મિડીયા અહેવાલોને રદીયો આપવાની ફરજ પડી હતી.મિડીયામાં એવા અહેવાલો પ્રસિદ્ધ થયાં હતાં કે સંભવિત ઉમેદવારોની પસંદગી કરવાની કામગિરી જે ચકાસણી સમિતિને સોંપવામાં આવી છે તેમાંથી અખિલેશ પ્રસાદસિંહ (પ્રચાર સમિતિના અધ્યક્ષ), મદનમોહન ઝા (બિહાર પ્રદેશ કોંગ્રેસ સમિતિના વડા) અને સદાનંદસિંહ (કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા)ને પડતાં મૂંકવામાં આવ્યાં છે.
જો કે સૌપહેલા કોંગ્રેસ ચકાસણી સમિતિના ચેરમેન અવિનાશ પાંડેએ ટ્વીટર પોસ્ટ દ્વારા રદીયો આપ્યો હતો.તેમણે કોંંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી એ તેમના ખાસ વિશ્વાસુ રણજીત સુરજેવાલાને ટેગ કર્યા હતાં.ઇન્ડિયા ટુડે ટીવીને એવું જાણવા મળ્યું છે કે કોંગ્રેસના બિહાર એકમમાં બધુ ઠીકઠાક નથી અને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જેમના હાથમાં બાગડોર છે એવા નેતાઓ સામે પક્ષની નારાજગી વધી રહી છે. બિહાર ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારોની જાહેરાત બાદ ચકાસણી સમિતિના ઉપરોક્ત ત્રણેય નેતાઓની પક્ષના કેટલાક નેતાઓએ સખત શબ્દોમાં આલોચના કરી હતી.તેમણે એવો આક્ષેપ કર્યો છે કે બિહાર કોંગ્રેસમાં ટિકિટ વિતરણમાં ગેરરિતીઓ આચરવામાં આવી છે.આ ઘટનાક્રમથી નારાજ રાહુલ ગાંધીએ બિહાર વિધાનસભા ચૂંટણી માટેની બાગડોર સંભાળવા પોતાની ટીમ મૂંકી છે.