(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૩
બારડોલીના માણેકપોર ગામે પત્નીએ જમવામાં માછલી ન બનાવતા અકળાઈ ઉઠેલા આધેડે ખેતરમાં જઈ ઝેરી દવા પી લઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ બારડોલી પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલીના માણેકપોર ગામે વચલુ ફળીયામાં રહેતાં સુમનભાઈ ઠાકોરભાઈ રાઠોડ ગત બુધવારે રાત્રે ઘરે હતા. ત્યારે જ પત્ની સવિતાબેનને માછલી બનાવવાનું કહ્યું હતું. પરંતુ તેણીએ કોઈક કારણોસર માછલી નહીં બનાવતા પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. જેના કારણે સુમનભાઈએ માઠુ લાગી આવતા તેણે ખેતરમાં જઈ ઘાસ મારવાની દવા પી લીધી હતી. પરિવારને જાણ થતાં તેઓએ સુમનભાઈને સારવાર અર્થે બારડોલીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ટુંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બારડોલી પોલીસને જાણ કરતા પોલીસે પણ અકસમાત મોતની નોંધ લઇ આગળની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.