(એજન્સી) આગ્રા, તા.૨૫
મૈનપુરીમાં એક દલિત ખેડૂતને તેની પુત્રવધૂના ત્રાસનો વિરોધ કરવા બદલ માર મારીને હત્યા કરવામાં આવ્યાના લગભગ ૧૭ વર્ષ પછી, સ્થાનિક SC/ST કોર્ટે મુખ્ય આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. પોલીસે જણાવ્યું હતું કે, પીડિત સાહેબ સિંહે તેના પાડોશીના પુત્ર આનંદ કુમાર (હવે ૪૮ વર્ષ) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તેણે તેની પુત્રવધૂને રસ્તામાં રોકી હતી-આ કૃત્યને કારણે બંને પરિવારો વચ્ચે તણાવ થયો હતો. અધિક જિલ્લા સરકારી વકીલ (ADGC) એમપી સિંહે જણાવ્યું હતું કે, હત્યા ૨૨ ડિસેમ્બર, ૨૦૦૮ના રોજ મૈનપુરીના ગાંગસી ગામમાં થઈ હતી, જ્યારે ઘટના સમયે ૪૦ વર્ષના સાહેબ સિંહ અને તેમનો પુત્ર અશોક ખેતરોમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા. ત્રણ માણસોએ તેમના પર વજનદાર પદાર્થોથી હુમલો કર્યો હતો. બંનેને ગંભીર ઈજાઓ થઈ હતી અને સાહેબનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. સાહેબની પત્નીએ પોલીસ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, આનંદ, તેના પિતા મુન્નાલાલ રાય (તે સમયે ૫૦) અને તેના કાકા હરિ પ્રકાશ (તે સમયે ૫૨)એ તેના પતિ અને પુત્રને માર માર્યો હતો. મુન્નાલાલે જાતિવાદી અપશબ્દો પણ બોલ્યા હતા અને અન્ય લોકોને ઉશ્કેર્યા હતા. હુમલાખોરોએ તેમને મારવા માટે ચાબુક અને લાકડીઓનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ છે. પોલીસે IPC કલમ ૩૦૨ (હત્યા) અને SC/ST કાયદાની સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો હતો. ધરપકડ પછી તરત જ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. મુન્નાલાલ અને હરિ પ્રકાશનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયું હતું, પરંતુ આનંદ કુમારને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. કોર્ટે તેમના પર રૂા.૩૦,૦૦૦નો દંડ પણ ફટકાર્યો હતો.