(એજન્સી) ન્યૂયોર્ક, તા.૧૭
અમેરિકાના ફ્લોરિડામાં એક ભારતીય મૂળની શિક્ષિકા શાન્તી વિશ્વનાથને સમજદારી અને બહાદુરીનો પરિચય કરાવી કેટલાય વિદ્યાર્થીઓની જાન બચાવી. ગોળીબારો સમયે શાંતિ વિશ્વનાથન વર્ગમાં ગણિત ભણાવી રહી હતી ત્યારે અચાનક એલાર્મ વાગતા તેણીએ વર્ગખંડની બારી-દરવાજા બંધ કરી દઈ બાળકોને વર્ગમાં સુવાડી દીધા જેથી હુમલાખોરની નજર ન પડે.
એક વિદ્યાર્થીની માતા ડોન જારબોએ શાંતિ વિશ્વનાથનની તારીફ કરી કહ્યું કે તેણે સમયસૂચકતા વાપરી બાળકોની જાન બચાવી. જ્યારે પોલીસે વર્ગખંડનો દરવાજો ખખડાવ્યો ત્યારે પણ શિક્ષિકાએ ખોલવાનું જોખમ લીધું ન હતું. તેને લાગ્યું કે હુમલાખોર અંદર ઘુસવા પ્રયાસ કરે છે.
શાળાના પૂર્વ છાત્ર નિકોલસ ક્રુજે ડગલાસ હાઈસ્કૂલમાં વેલેન્ટાઈન ડેના દિવસે ઓટોમેટિક રાઈફલથી આડેધડ ગોળીબારો કરી ૧પ વિદ્યાર્થીઓ અને બે સ્ટાફની હત્યા કરી હતી. આ વિદ્યાર્થીને ગેરશિસ્ત બદલ શાળામાંથી હાંકી કઢાયો હતો. તેની માનસિક સ્થિતિ ખરાબ હતી. તેણે યુ-ટ્યુબ પર ગોળીબારો અંગે ભવિષ્યવાણી કરી હતી. જેની એફબીઆઈને જાણ હતી. પાર્કલેન્ડમાં ભારતીયોની સંખ્યા રર,૬૦૦ છે. ગોળીબારોમાં મોતને ભેટેલામાં કોઈ ભારતીય નથી.