(સંવાદદાતા દ્વારા), સુરત તા.૫
શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતા એક યુવકે ત્રણ દિવસ પહેલા બંગડીના કાંચ ખાઇ લીધા હતા. જેના કારણે તેને પેટમાં દુખાવો ઉપડતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ગઇકાલે સાંજે તેનું મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર ડિંડોલી ખાતે આવેલા સંતોષી નગરમાં રહેતા ભરત ક્રિષ્ણા જાદવ (ઉ. વ. ૩૩) એ ૨જી સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે બાહરથી ક્યાંથી બંગડીના કાંચ ખાઇને ઘરે આવ્યો હતો. ઘરે આવ્યા બાદ તેને પેટમાં દુખાવો થતા તેની માતા પુર્ણીમાબેનને આ અંગે જણાવ્યું હતું. જે સાંબળી માતા એકદમ ગભરાઇ ગઇ હતી. અને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. તેની હાલત જોઇ ડોક્ટરોએ તાત્કાલિક ઓપરેશન કરવાનો નિર્ણય લઇ તેને ઓપરેશન થિયેટરમાં લઇ જવાયો હતો. રાત્રે બાર વાગ્યાના સુમારે તેને ઓપરેશન પુરુ થયું હતું અને ડોક્ટરો કેટલાક કાંચના ટુંકડા તેના પેટમાંથી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ તેને વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ગઇ કાલે સાંજે તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે વધુ માહિતી આપતા ડિંડોલી પોલીસ મથકના એસએસઆઇ અનિલભાઇએ જણાવ્યું હતું કે, ભરત જાદવના એક વર્ષ પહેલા લગ્નના ચાર દિવસમાં જ પત્ની ઝગડો કરી ચાલી ગઇ હતી. ત્યાર બાદથી તે માનસિક ડિપ્રેશનમાં આવી ગયો હતો. પત્ની ચાલી જવાના કારણે જ તેની માનસિક બિમારીની સારવાર પણ ચાલી રહી હતી.તે હાલતમાં તેની માતા સાથે જ રહેતો હતો.