બીલીમોરા પાલિકાની સામાન્ય સભામાં વિવિધ સમિતિઓના ચેરમેન વરાયા

બીલીમોરા, તા.૧૩
બીલીમોરા નગરપાલિકાના ગત રોજ નવનિયુક્ત પ્રમુખ મનીષભાઈ નાયકની અધ્યક્ષતામાં સાધારણ સમગ્ર સભા મળી હતી. જેમાં વિવિધ સમિતિની રચના કરવામાં આવી હતી. સભામાં વિરોધ પક્ષના સભ્ય મલંગ કોલીયાએ પ૧/૩ની દરખાસ્ત ઉપર ચર્ચામાં પાણી પુરવઠા યોજનાની ટાંકી સમ્પ અને પાણીની સમસ્યા અંગે અગામચેતીનો પગલા લેવા અંગે ચર્ચા થઈ હતી.
બીલીમોરા નગરપાલિકામાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળેલી સાધારણ સભાની શરૂઆત ન.પા.ના માજી પ્રમુખ રવિશંકરભાઈ પટેલ અને ન.પા.ના મહિલા કર્મચારી રીટાબેન પટેલના પતિના અવસાન અંગે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. શરૂઆતથી જ વિરોધ પક્ષના સભ્યો થોડા આક્રમક અને ઉત્સાહી જણાતા હતા. વિરોધ પક્ષના સભ્ય મલંગભાઈ કોલીયાએ આપેલી પ૧/૩ની દરખાસ્તને એજન્ડામાં નહીં સમાવવા બદલ પૂછેલા પ્રશ્નમાં દરખાસ્ત મોડી આવ્યાનું પ્રમુખ મનીષભાઈએ જણાવ્યું હતું. ગત સભાની મિનિટસ અંગે વિરોધપક્ષના સભ્ય મલંગભાઈ કોલીયા, યુસુફભાઈ મેમણ, સુષમાબેને વિરોધ લખાવ્યો હતો. વિવિધ સમિતિની અઢી વર્ષની મુદ્દત માટેની થયેલી રચનામાં કારોબારી સમિતિના ચેરમેન હરીશભાઈ ઓડની નિમણૂક કરવામાં આવી હતી. જાહેર બાંધકામ સમિતિના ચેરમેન તરીકે પ્રદિપભાઈ જમનાદાસ ધીવર, આરોગ્ય અને હોસ્પિટલ સમિતિના ચેરમેન તરીકે સુચેતાબેન દિપકભાઈ દૂષણે, વોટર વર્કસ કંટ્રોલિંગ સમિતિના ચેરમેન વિપુલાબેન રાજનભાઈ મિસ્ત્રી, ફાયર અને લાઈટ સમિતિના ચેરમેન તરીકે કિરણભાઈ કેશવભાઈ વાઘેલા, ડ્રેનેજ સમિતિના ચેરમેન તરીકે મનીષાબેન રમેશભાઈ પટેલ, શાળા સમિતિના ચેરમેન તરીકે કલ્પનાબેન ગિરીશભાઈ પટેલ અને ટાઉન પ્લાનિંગ અને સિટી ઈમ્પ્રુવમેન્ટ સમિતિના ચેરમેન તરીકે સુભાષભાઈ સોમાભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી. સાથે શાસક પક્ષના નેતા તરીકે યતીનભાઈ મિસ્ત્રી તેમજ દંડક તરીકે સુરેશભાઈ (અશ્વિનભાઈ) પટેલની નિમણૂક કરાઈ હતી. તેવી જ રીતે વિરોધ પક્ષના નેતા મંજુલાબેન પટેલ, ઉપનેતા અરવિંદભાઈ પટેલ અને દંડક તરીકે અનુપમાબેન પરમારની નિમણૂકની વિરોધ પક્ષોએ કરાવાની પણ જાહેરાત કરી હતી.
વિરોધ પક્ષના સભ્ય કોલીયાએ તળાવમાં પાણી નાખવાનું ક્યારે શરૂ થશેના પૂછેલા પ્રશ્નમાં બ્યુટીફિકેશનનું કામ ચાલતું હોય ભરાતું નથી. શહેરની પ્રજા દ્વારા નાના મોટા બાંધકામ વખતે પાણીની જરૂરિયાત પડે તેમજ એપ્રિલ-મેમાં પાણીની તંગી પડે તો તે પહેલાં તકેદારીના પગલાં લેવા તેમ નિર્ણય સત્તા પક્ષ ઉપર છોડાયો હોવાનું મલંગભાઈએ જણાવ્યું હતું.માછીવાડની પાણીની ટાંકીના બાંધકામનું કામકાજ ખૂબ જ જલ્દી શરૂ થશે. જીવન જરૂરિયાતની વસ્તુ છે. એકથી દોઢ મહિનામાં રિઝલ્ટ આવનાર હોવાનુું પ્રમુખે જણાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts