ઈરાને ઉત્તર ઈઝરાયેલ પર બેલિસ્ટિક મિસાઈલ ફાયર કરી, ટ્રમ્પે ઈઝરાયેલી પીએમ નેતાન્યાહુને કહ્યું કે, ઈરાન કરાર સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ નથી
(એજન્સી) તા.૮
મધ્યપૂર્વમાં તણાવ ફરી એકવાર નિર્ણાયક અને ખતરનાક તબક્કે પહોંચી ગયો છે. રવિવારે રાત્રે ઈરાને ઉત્તર ઈઝરાયેલના અનેક વિસ્તારોને નિશાન બનાવીને બેલિસ્ટિક મિસાઈલોનો હુમલો કર્યો. આ અચાનક હુમલા બાદ ઉત્તર ઈઝરાયેલમાં હવાઈ હુમલાના સાયરન વાગ્યા. ૮ એપ્રિલના યુદ્ધવિરામ પછી આ પહેલી વાર છે જ્યારે ઈરાને ઈઝરાયેલ પર આટલો સીધો લશ્કરી હુમલો કર્યો છે. જો કે, આ હુમલો બૈરૂત પર ઈઝરાયેલી હુમલાના બદલામાં કરવામાં આવ્યો હતો. ઈરાને અગાઉ ચેતવણી આપી હતી કે, જો ઈઝરાયેલ બૈરૂત પર હુમલો કરશે, તો તે ઈઝરાયેલ પર સીધો હુમલો કરશે.ઈરાનનું કહેવું છે કે, ઈઝરાયેલે ફરીથી ‘લાલ રેખા’ ઓળંગી છે
મીડિયા અહેવાલો અનુસાર, આ ઈરાની હુમલો ઈઝરાયેલ દ્વારા લેબનીઝ રાજધાની બૈરૂતના દક્ષિણ ઉપનગરો (દહિયેહ વિસ્તાર) પર હવાઈ હુમલો કર્યાના થોડા કલાકો પછી થયો હતો. દહિયેહને હિઝબુલ્લાહનો ગઢ માનવામાં આવે છે. આ હુમલાની જવાબદારી સ્વીકારતા, ઈરાનના રિવોલ્યુશનરી ગાડ્ર્સ (IRGC)એ જણાવ્યું હતું કે, તેમના ‘એરોસ્પેસ ફોર્સ’એ ઈઝરાયેલના ‘રામત ડેવિડ એર બેઝ’ને નિશાન બનાવીને બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી. એક ઈરાની લશ્કરી કમાન્ડરે ચેતવણી આપી હતી કે, બૈરૂત પર હુમલો કરીને ઈઝરાયેલે બધી ‘લાલ રેખાઓ’ ઓળંગી દીધી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે, જો ઈઝરાયેલ લેબેનોન પરના તેના હુમલાઓ બંધ નહીં કરે અથવા જો તે આ વળતો હુમલો કરશે, તો તેને વધુ વિનાશક હુમલાઓનો સામનો કરવો પડશે.આ દરમિયાન, ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, ‘અમે ઈરાનથી ઈઝરાયેલ તરફ છોડવામાં આવેલી મિસાઈલો ઓળખી કાઢી હતી. અમારી સંરક્ષણ પ્રણાલીઓ તરત જ ધમકીને અટકાવવા માટે કાર્યવાહીમાં લાગી ગઈ.’ ઈઝરાયેલી વાયુસેનાએ દાવો કર્યો છે કે, ઈરાન દ્વારા છોડવામાં આવેલી બધી મિસાઈલોને હવામાં જ સફળતાપૂર્વક અટકાવી (નાશ કરી) છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, આ હુમલાના પરિણામે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું નથી.
ટ્રમ્પે નેતાન્યાહુ સાથે ‘ઈરાન ડીલ’ વિશે વાત કરી હતી અને તેમને તેને સ્વીકારવા વિનંતી કરી હતી. આ મોટા લશ્કરી મૂકાબલાથી વૈશ્વિક સ્તરે રાજદ્વારી ગતિવિધિઓમાં પણ ઉછાળો આવ્યો છે. ટ્રમ્પે ઈરાનને વધુ હુમલાઓથી દૂર રહેવા હાકલ કરી. અલગથી તેમણે ઇઝરાયેલી પીએમ નેતાન્યાહુ સાથે વાત કરી, ઇઝરાયેલને તાત્કાલિક ‘ઈરાન ડીલ’ સ્વીકારવા વિનંતી કરી. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી બાદ તાજેતરમાં ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે આંશિક યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ બંને પક્ષો તરફથી સતત હુમલાઓને કારણે તે જ દિવસે કરાર તૂટી ગયો.ઇઝરાયેલી પીએમ સાથે સીધી વાતચીત દરમિયાન, ટ્રમ્પે નેતાન્યાહુ પર દબાણ લાવ્યું, તેમને ‘ઈરાન ડીલ’ (પરમાણુ કરાર અથવારાજદ્વારી માળખાનો ઉલ્લેખ કરીને) સ્વીકારવા માટે આગ્રહકર્યો જેથી આ ક્ષેત્રને મોટા વિનાશક યુદ્ધમાં ફસાઈ ન જાય.ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયેલના અહેવાલ મુજબ, વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ ઈરાનના મિસાઇલ હુમલાના જવાબમાં બદલો લેવાની કાર્યવાહી મૂલતવી રાખવા અને અમેરિકાને તેહરાન સાથે રાજદ્વારી કરાર પર પહોંચવા માટે થોડા વધુ દિવસો આપવાની ટ્રમ્પની વિનંતી સ્વીકારી હોવાનું કહેવાય છે. આ ઘટનાક્રમ ટ્રમ્પે ફોન કોલ દરમિયાન ઇઝરાયેલી નેતાને હુમલાના જવાબમાં બદલો લેવાની કાર્યવાહી ટાળવાની વિનંતી કર્યા પછી પ્રકાશમાં આવ્યો.
સીએનએનના અહેવાલ મુજબ, ઈરાન સાથે વધતા તણાવને કારણે ઇઝરાયેલે ગાઝામાં પ્રવેશવાના તમામ પ્રવેશદ્વારો બંધ કરવાની જાહેરાત કરી છે. ઇઝરાયેલી અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ પગલું ‘જરૂરી સુરક્ષા પગલા’નો એક ભાગ છે. સીએનએનએ અહેવાલ આપ્યો છે કે, આ બંધ ગાઝામાં માનવતાવાદી સહાય પહોંચાડવા માટેનો મુખ્ય પ્રવેશદ્વાર, કેરેમ શાલોમ ક્રોસિંગને અસર કરે છે.ઈરાનના રિવોલ્યુશનરી ગાડ્ર્સે સોમવારે ઇરાકી કુર્દીસ્તાનમાં આતંકવાદી જૂથોના મુખ્ય મથકને નિશાન બનાવ્યું. ઈરાનની સમાચાર એજન્સી, આઈઆરએનએ, ટેલિગ્રામ પર પોસ્ટ કર્યું : ‘ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી)એ ઇરાકના સુલેમાનિયાહમાં આતંકવાદી જૂથોના મુખ્ય મથકને નિશાન બનાવ્યું છે.’ઈઝરાયેલ પર મિસાઈલ હુમલા બાદ ઈરાને દેશના પશ્ચિમ ભાગ પર હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. રાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનના પ્રવક્તા માજિદ અખાવાને જણાવ્યું હતું કે, ‘સુરક્ષા મૂલ્યાંકનને કારણે દેશના પશ્ચિમ ભાગ પર હવાઈ ક્ષેત્ર આગામી સૂચના સુધી બંધ જાહેર કરવામાં આવ્યું છે.’ ઈરાકી નાગરિક ઉડ્ડયન સત્તામંડળે જાહેરાત કરી કે, દેશનું હવાઈ ક્ષેત્ર આગામી ૭૨ કલાક માટે બંધ રહેશે. સીરિયાએ પણ ૧૨ કલાક માટે તેના દક્ષિણ હવાઈ ક્ષેત્રને અસ્થાયી રૂપે બંધ કરી દીધું હતું અને દમાસ્કસ એરપોર્ટ પર ફ્લાઇટ્સ સ્થગિત કરી હતી.