(એજન્સી) તા.ર૩
ભાજપ સાંસદ શત્રુઘ્ન સિંહા જે ખાસ કરીને શોટગન નામે વખણાય છે. તેઓ તેમના જ પક્ષ ભાજપ પર પ્રહાર કરવા માટે પણ જાણીતા થઇ ગયા છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરવા માટે આ વખતે તેમણે આધાર કાર્ડનો મુદ્દો પસંદ કર્યો છે. નોંધનીય છે કે વિવિધ સરકારી યોજનાઓના લાભ લેવા માટે સરકારે આધાર કાર્ડને તમામ સરકારી યોજનાઓ સાથે લિન્ક કરવાનું ફરજીયાત કરી દીધું છે અને આ મુદ્દે જ શોટગને વડાપ્રધાન પર આકરા ચાબખાં માર્યા છે. ભાજપના સાંસદ શત્રુઘ્ને આધાર યોજનાને નિરાધાર ગણાવતાં કહ્યું કે સરકારે આ યોજનાને વધુને વધુ સફળ બનાવવાના પ્રયાસ રુપે અઢળક પૈસા અને સ્ત્રોતોનો વ્યય કરી નાખ્યો છે. તેમણે કહ્યું કે આ એક નિષ્ફળ કવાયત સાબિત થઇ છે. શત્રુઘ્ન સિંહાએ ટિ્વટર પર મોદી અંગે આકરો કટાક્ષ કરતાં કહ્યું કે ડીયર સર, મિત્રો નિરાધાર આધાર સાથે શું થઇ રહ્યું છે ? શા માટે તમે પ્રજાના પૈસા અને સ્ત્રોતો આવી યોજના પાછળ ખર્ચીને તેનો વ્યય કરી રહ્યા છો અને બદલામાં તેમનું જ જીવન વધુને વધુ જટિલ બનાવી રહ્યાં છો. આવી નિષ્ફળ કવાયતને રદ કરવાની તેમાંથી બહાર આવી જવાની જરુર છે. શું તમને એવું નથી લાગતું ? તેમણે કહ્યું કે ડિજિટલ પ્રાઇવસી એ તમામ વ્યક્તિનો અધિકાર છે. તેમણે કહ્યું કે સરકારે પગલાં ભરીને લોકોને આશ્વાસન આપવું જોઈએ કે દરેક નાગરિકની ફેસબુક, ટિ્વટર, વોટ્સએપ તથા ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ પરની માહિતીનો વિદેશી સંસ્થાનો સાથે કોઇપણ પ્રકારની વાટાઘાટો નહીં કરે. દરેક નાગરિકની પ્રાઇવસીને સુરક્ષિત રાખવી જ જોઇએ. નોંધનીય છે કે તાજેતરમાં ફેસબુક પર લોકોની માહિતી લીક કરવાનો અને ચૂંટણીમાં તેનો ફાયદો લેવાનો આરોપ લાગ્યો હતો. જોકે ભાજપ, કોંગ્રેસ, જદયુ જેવા પક્ષો બ્રિટિશ કંપની એનાલિટિકાના ગ્રાહક છે એવો પણ ખુલાસો થયો છે.