
મધ્યપ્રદેશના સાગર જિલ્લાના બડોદિયા નૌનાગીર ગામમાં અહિરવર પરિવારના ઘરની બહાર ખામોશી છવાયેલી છે, આ ઘર છેલ્લા કેટલાક દિવસોથી રાજકારણનું કેન્દ્ર બન્યું છે, છેલ્લા એક વર્ષમાં આ દલિત પરિવારના ત્રણ સભ્યોનાં મોત બાદ વિપક્ષી નેતાઓ તેમજ મુખ્યમંત્રી ગામમાં આવીને પીડિત પરિવારને મળ્યા હતા
(એજન્સી) તા.પ
રઘુવીર અહિરવાર તેમના પરિવાર સાથે ગામના છેવાડે રહે છે. તેમના પરિવારમાં પત્ની સિવાય ત્રણ પુત્રો અને એક પુત્રી હતી. ગત વર્ષે સૌથી નાના પુત્ર નીતિનની હત્યા કરવામાં આવી હતી.
તે પછી, તાજેતરમાં રઘુવીરના ભાઈ રાજેન્દ્રને સમાધાન માટે બોલાવવામાં આવ્યો હતો જેમાં ઝઘડા બાદ તેની હત્યા કરવામાં આવી હતી. તેમના મૃતદેહ સાથે પરત ફરતી વખતે, રઘુવીરની પુત્રી અંજનાનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. અંજના બે ભાઈઓ પછી પરિવારમાં ત્રીજા નંબરની હતી. આ સમયે પરિવાર ન માત્ર આઘાતમાં છે પરંતુ તેમની સુરક્ષાને લઈને પણ ચિંતિત છે. તાજેતરની ઘટના ૨૫મી મેની છે જ્યારે અંજનાના કાકા રાજેન્દ્રની હત્યા કરવામાં આવી હતી. પરિવારનો દાવો છે કે રાજેન્દ્રને સમાધાન માટે બોલાવવામાં આવ્યો હતો અને જ્યારે તેણે ના પાડી તો તેને એટલી ખરાબ રીતે મારવામાં આવ્યો કે તેનું મોત થઈ ગયું. રાજેન્દ્ર ગયા વર્ષે નીતિનની હત્યાનો સાક્ષી પણ હતો.
હત્યા કેસની સુનાવણી ૨૦મી જૂનથી શરૂ થવાની હતી. મળતી માહિતી મુજબ, તેમની જુબાનીમાં આરોપી વિરૂદ્ધ કંઈ ન બોલવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. હુમલા બાદ તેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ તેને ભોપાલ રિફર કરવામાં આવ્યો હતો. રસ્તામાં જ તેનું મોત થયું હતું. તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને જ્યારે તેને પરત લાવવામાં આવી રહી હતી ત્યારે એમ્બ્યુલન્સમાં મુસાફરી કરી રહેલી અંજનાનું પણ વાહનમાંથી પડી જવાથી મોત થયું હતું. જો કે, પોલીસનું એમ પણ કહેવું છે કે અત્યાર સુધી મળેલી માહિતી મુજબ તે અચાનક પડી ગઈ અને તેનું મોત થઈ ગયું. જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે વાહનમાંથી કૂદી હતી પરંતુ તેની પુષ્ટિ કરવા માટે કોઈ નથી. પડતી વખતે થયેલી ઈજાઓને કારણે અંજનાનું મોત થયું હતું. આ અકસ્માત ગામથી લગભગ ૨૦ કિ.મી. દૂર થયો હતો.
પરિવારના આક્ષેપો :- અંજનાની માતા રામ સાખીનો આરોપ છે કે તેમની પુત્રીની હત્યા કરવામાં આવી છે. તેણે કહ્યું, “દરેકને ખબર હતી કે અંજના બધું જ જાણતી હતી. તે તેના મનની વાત કેવી રીતે કરવી તે જાણતી હતી, તેથી આરોપીઓ પણ તેનાથી ડરતા હતા. તેથી જ તેની હત્યા કરવામાં આવી હતી.” આ મામલે અંજનાના ભાઈ વિષ્ણુએ કહ્યું, આ મામલો ૨૦૧૯થી ચાલી રહ્યો છે જ્યારે અમારી બહેનની છેડતી થઈ હતી. તે લોકો પરિવાર પર તે બાબતે સમાધાન કરવા માટે સતત દબાણ કરતા હતા. પરંતુ જ્યારે મામલો થાળે પડ્યો ન હતો ત્યારે ગયા વર્ષે ૨૪ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ નીતિનની હત્યા કરવામાં આવી હતી. જ્યારે માતાને ખબર પડી ત્યારે તે તે જગ્યાએ દોડી ગઈ જ્યાં તેને મારવામાં આવી રહ્યો હતો, ત્યારબાદ માતાને માર મારવામાં આવ્યો અને તેને નિવસ્ત્ર પણ કરવામાં આવી હતી.
તેણે વધુમાં જણાવ્યું કે તે પછી તે લોકો ઘરમાં આવ્યા અને તેમણે તોડફોડ કરી અને ઘરમાં હાજર ઘોડાને માર માર્યો, જેના કારણે ૧૫ દિવસ પછી તેનું મોત થઈ ગયું. વિષ્ણુ, ગામમાં મજૂર તરીકે કામ કરવાની સાથે, લગ્નમાં તેનો ઘોડો પણ ભાડે આપે છે. વિષ્ણુનો આરોપ છે કે જે લોકોએ તેના પરિવાર પર ત્રાસ ગુજાર્યો હતો તે ગામના પ્રભાવશાળી ઠાકુર પરિવારના છે. વિષ્ણુએ કહ્યું કે આ કેસમાં મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં પણ નથી, જે ઉમેરવું જોઈએ. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે આરોપીને એક શક્તિશાળી નેતાનું રક્ષણ છે જે શિવરાજ સિંહ ચૌહાણ સરકાર દરમિયાન મંત્રી હતા અને તેઓ તેમના સંબંધી પણ છે.
ગામડાના દબંગ લોકો આ પરિવારને કેમ નિશાન બનાવી રહ્યા છે ? આ પ્રશ્ન પર વિષ્ણુએ કહ્યું, અમારો પરિવાર ગામથી દૂર પોતાનું જીવન જીવી રહ્યો છે. પરિવાર કોઈની પાસે જતો નથી પરંતુ ગામના પ્રભાવશાળી લોકો ઇચ્છે છે કે અમે તેમની પાસે જઈએ અને તેમની આગળ માથું નમાવીએ અને અન્ય લોકોની જેમ ડરીને જીવીએ. અંજનાના મૃત્યુ પહેલા તેણે સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આરોપીઓના ઘર તોડી નાખવા જોઈએ અને તમામ આરોપીઓની ૨૪ કલાકની અંદર ધરપકડ કરવામાં આવે.
કેસ ક્યાંથી શરૂ થયો ? :- આ આખો મામલો ૨૦૧૯માં શરૂ થયો હતો જ્યારે અંજનાની છેડતી કરવામાં આવી હતી પરંતુ પોલીસે મારપીટનો કેસ નોંધ્યો હતો. આ મામલે ચાર લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં ત્રણ લોકો ઠાકુર પરિવારના હતા અને એક યુવક રાયકવાર હતો. ચારેયને આગોતરા જામીન મળ્યા હતા. આ કેસ હજુ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ કેસ ૨૬ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ નોંધવામાં આવ્યો હતો. પરિવારનો આરોપ છે કે, ત્યારબાદ તેમના પર સતત દબાણ કરવામાં આવતું હતું, પરંતુ આ કેસમાં ગયા વર્ષે ૨૪ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ અંજના અહિરવારના નાનાભાઈ નીતિનની ગામના બસ સ્ટેન્ડ પાસે હત્યા કરવામાં આવી હતી. જ્યારે માતા તેને બચાવવા ગઈ તો તેને પણ નિવસ્ત્ર કરી માર મારવાનો આરોપ છે. ત્યારે પોલીસે નામ આપવામાં આવેલ નવ નામના આરોપીઓ તેમજ અન્ય ચાર આરોપીઓ સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ કેસમાં એક વ્યક્તિને જામીન મળી ગયા છે જ્યારે બાકીના હજુ જેલમાં છે. તે જ સમયે, પરિવારના સભ્યોનો આરોપ છે કે આરોપીઓ તેમના પર સતત દબાણ કરી રહ્યા હતા કે તેઓ કોઈપણ રીતે તેમની વિરુદ્ધ કોઈ નિવેદન ન આપે. અત્યાર સુધી શું કાર્યવાહી થઈ, શું કહે છે પોલીસ ? તાજેતરના કેસમાં પોલીસે પાંચ લોકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં માત્ર એક જ ધરપકડ કરવામાં આવી છે અને અન્ય આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. જેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે તેમના નામ ફહીમ ખાન, બબલુ બેના, ઈઝરાયેલ બેના, તંતુ કુરેશી અને આશિક કુરેશી છે.
બીજી તરફ, સાગરના પોલીસ અધિક્ષક અભિષેક તિવારીએ કહ્યું, પોલીસે આ સમગ્ર કેસમાં ટેકનિકલ પુરાવા લીધા છે. ઘણા લોકોની પૂછપરછ કરવામાં આવી છે અને દરેકને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે જેથી આગળની કાર્યવાહી કરી શકાય. તેમણે કહ્યું કે અંજનાના મૃત્યુના કેસમાં પણ તપાસ કરવામાં આવી રહી છે અને એવું લાગે છે કે તે પડી ગઈ હતી અને માથામાં ઈજાના કારણે તેનું મૃત્યુ થયું હતું. અભિષેક તિવારીએ વધુમાં કહ્યું કે, તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. આમાં ઘણા પક્ષકારો છે અને આરોપીઓને સજા મળી શકે તે માટે સતત તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ આમાં કોઈપણ પ્રકારની બેદરકારી દાખવી રહી નથી. પરિવારને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવી છે.
આ મામલામાં સામે આવી રહેલી બાબતો અનુસાર પીડિત પક્ષના રાજેન્દ્ર વિરૂદ્ધ ૧૪ કેસ નોંધવામાં આવ્યા હતા જેનું મૃત્યુ થયું છે. જેમાં ચોરી, હત્યાનો પ્રયાસ અને રાયોટિંગના કેસ છે. બીજી તરફ અંજનાના બીજા ભાઈ સામે ચોરી અને હત્યાના પ્રયાસ સહિત ૭ કેસ નોંધાયેલા છે. આ ઉપરાંત ગત વર્ષે હત્યા કરાયેલા નીતિન સામે ચોરી અને રાયોટિંગ સહિતના ૭ કેસ નોંધાયા હતા.
શું કહે છે આરોપી પક્ષ ? :- પીડિત પક્ષ જે વ્યક્તિને મુખ્ય આરોપી કહી રહ્યો છે તેનું નામ અંકિત સિંહ ઠાકુર છે. તેનું કહેવું છે કે તેને કે તેના પરિવારને આ કેસ સાથે કોઈ લેવાદેવા નથી. તેણે કહ્યું, અમારા પરિવારનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી. તેમ છતાં આ પરિવાર હવે અમને દરેક કેસ સાથે જોડી રહ્યો છે. ગયા વર્ષે નીતિનની હત્યાના કેસમાં ૪ આરોપી અંકિત સિંહ ઠાકુરના પરિવારના છે, જેમાંથી ત્રણ લોકો હજુ પણ જેલમાં છે. આ કેસમાં ૭૭ વર્ષના એક વ્યક્તિને પણ આરોપી જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે તે કશું કરી શકતો ન હતો. તેણે ઘણી મુશ્કેલીથી કોર્ટમાંથી જામીન મેળવ્યા હતા.
અંકિતનો આરોપ છે કે આ પરિવારે આખા ગામનું વાતાવરણ એવું બનાવી દીધું છે કે દરેક લોકો ભયના છાયામાં જીવી રહ્યા છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે વિપક્ષ કોંગ્રેસ સતત આ મુદ્દાને ઉછાળીને ગામનું વાતાવરણ દાહોળી રહી છે.
રાજકીય પ્રતિક્રિયાઓ :- મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ ગામમાં પહોંચ્યા અને અંજના અહિરવારના પરિવારને મળ્યા. તેમની સાથે પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર સિંહ પણ હતા, જેમના પર આરોપીઓને બચાવવાનો આરોપ છે. તેમણે ખાતરી આપી હતી કે આરોપીઓને વહેલી તકે સજા કરવામાં આવશે અને પીડિતોને સંપૂર્ણ સુરક્ષા મળશે. તેમણે ગામમાં પોલીસ ચોકી ખોલવાનો આદેશ પણ આપ્યો છે. જો કે, વિષ્ણુ અહિરવાર કહે છે, મુખ્યમંત્રીએ કોઈ પ્રકારની ખાતરી આપી નથી. તેમણે માત્ર એટલું જ કહ્યું કે તે તેના પર વિચાર કરશે. અમે ઈચ્છીએ છીએ કે સમગ્ર તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવે જેથી અમને ન્યાય મળે.
અગાઉ બે દિવસમાં કોંગ્રેસના બે નેતાઓ પીડિતાના ઘરે પહોંચ્યા હતા. સૌથી પહેલા પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ, જેમણે અંજના અહિરવારના અંતિમ સંસ્કારમાં પણ ભાગ લીધો હતો. અંજનાના ભાઈની હત્યા થઈ ત્યારે દિગ્વિજય સિંહ પણ ગયા હતા. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જીતુ પટવારી પણ પરિવારને મળ્યા હતા. તેણે પીડિતાના પરિવારને ૫૦ લાખ રૂપિયાનું વળતર આપવાની અને સમગ્ર કેસની સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાની માંગ કરી હતી. કોંગ્રેસે ભૂપેન્દ્ર સિંહને સાથે લઈ જવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને સવાલ કર્યો હતો કે શું મુખ્યમંત્રી પીડિત પરિવારને ટેકો આપવા ગયા હતા કે ભૂપેન્દ્ર સિંહને સાથે લઈને તેમને ડરાવવા ગયા હતા. આ દરમિયાન જીતુ પટવારીએ પીડિત પરિવારને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે વાત કરવા માટે પણ બોલાવ્યો હતો.
આઝાદ સમાજ પાર્ટી, ભીમ આર્મીના પ્રમુખ સુનીલ અસ્તેએ કહ્યું છે કે આ સમગ્ર મામલામાં વહીવટીતંત્રની નિષ્ફળતા દેખાઈ રહી છે. તેમણે કહ્યું કે બુંદેલખંડ જેવા વિસ્તારોમાં આજે પણ ઉચ્ચ જાતિના લોકો દલિતો પર અત્યાચાર કરે છે અને જો તેમની વાત ન માનવામા આવે તો તેમને આ રીતે પાઠ ભણાવવામાં આવે છે. તે જ સમયે, ગામના લોકોનું માનવું છે કે આજે પણ દલિતો જૂતા અથવા ચપ્પલ પહેરીને ગામના પ્રભાવશાળી લોકોની સામે જઈ શકતા નથી. સાગર કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ આનંદ અહિરવાર કહે છે કે આ વિસ્તારમાં એફઆઈઆર નોંધવા માટે રાજકીય રીતે સક્ષમ હોવું પણ જરૂરી છે. તેણે આરોપ લગાવ્યો, “પોલીસ કોઈને પણ આરોપી કે પીડિતા બનાવી શકે છે. તમે જેટલા વધુ રાજકીય રીતે શક્તિશાળી છો, તેટલી વધુ ગુંડાગીરી તમે કરી શકો છો અને અહીં પણ આવું જ થઈ રહ્યું છે.” અહિરવાર પરિવારના ઘરની બહાર એક પોલીસકર્મી તૈનાત કરવામાં આવ્યો છે અને સીસીટીવી કેમેરા કામ કરવા લાગ્યા છે. ગયા વર્ષે હત્યા બાદ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા પરંતુ તેમણે કામ કરવાનું બંધ કરી દીધું હતું. હાલ પરિવાર તેમના પરિવારના સભ્યો માટે ન્યાય માંગી રહ્યો છે.