(એજન્સી) તા.૨૯
સ્પેનના વિદેશ મંત્રીએ શુક્રવારે બે-રાજ્ય ઉકેલ માટે તેમના દેશના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો અને જણાવ્યું કે ઇઝરાયેલ અને પેલેસ્ટીન વચ્ચે કાયમી શાંતિ સુનિશ્ચિત કરવાનો આ એકમાત્ર રસ્તો છે. બાર્સેલોનામાં ૧૦મા યુનિયન ઓફ ધ મેડિટેરેનિયન રિજનલ ફોરમમાં બોલતા, જોસે મેન્યુઅલ આલ્બેરેસે ભાર મૂક્યો કે મધ્ય પૂર્વમાં ન્યાયી અને કાયમી શાંતિ ફક્ત બે-રાજ્ય ઉકેલના અમલીકરણ દ્વારા જ શક્ય બનશે. તેમણે જણાવ્યું કે,‘હવે આટલી બધી યાતનાઓનો અંત લાવવા અને કાયમી શાંતિ સ્થાપિત કરવાનો સમય છે. તેમણે વધુમાં જણાવ્યું કે ગાઝા યુદ્ધવિરામ માટેની અમેરિકન યોજના અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો ઠરાવ ૨૮૦૩ ઇઝરાયલ અને પેલેસ્ટીન વચ્ચે બે-રાજ્ય ઉકેલ લાગુ કરવા માટે માર્ગદર્શક માળખા તરીકે કામ કરે છે.‘આ એકમાત્ર વિકલ્પ છે જે મધ્ય પૂર્વના તમામ લોકો માટે શાંતિ અને સુરક્ષા પુનઃસ્થાપિત કરી શકે છે,’ તેમણે ફોરમમાં જણાવ્યું. ૪૩ દેશોના વિદેશ મંત્રાલયોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં ૨૭ ઈેં સભ્યો અને ૧૬ ભૂમધ્ય દરિયાકાંઠાના દેશોનો સમાવેશ થાય છે. જોર્ડનના વિદેશ મંત્રી અયમાન સફાદીએ ગાઝામાં થયેલા નરસંહાર છતાં ‘આંતરરાષ્ટ્રીય કાયદાને માન્યતા આપવાનો ઇન્કાર કરવા અને સજા વિના રહેવા’ બદલ ઇઝરાયેલની ટીકા કરી હતી.‘આપણે એવું વર્તન કરી શકતા નથી કે જાણે કંઈ થઈ રહ્યું નથી,’ તેમણે એમ પણ જણાવ્યું કે ઇઝરાયેલે લેબેનીઝ પ્રદેશમાંથી ખસી જવું જોઈએ. ફોરમમાં તુર્કીનું પ્રતિનિધિત્વ નાયબ વિદેશ મંત્રી મેહમેટ કેમલ બોઝાય દ્વારા કરવામાં આવ્યું હતું.