મહારાષ્ટ્રમાં વરસાદી આફતમાં બે દિવસમાં ૧૩૬નાં મોત

પૂર અને ભૂસ્ખલનની વિવિધ દુર્ઘટનાઓમાં ૭૬નાં મોત, ૩૦ ગુમ અને ૮૯,૦૦૦ લોકો બેઘર બન્યા, મુખ્યમંત્રી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે, રાજ્યમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી

(એજન્સી) મુંબઇ, તા.૨૪
મહારાષ્ટ્રમાં ગુરૂવાર સાંજથી અત્યારસુધી વરસાદની અલગ અલગ ઘટનાઓમાં રાજ્યમાં કુલ ૧૩૬ લોકોનાં મોત થયા છે. આ ઉપરાંત રાજ્યના અનેક ગામોનો મુખ્ય મથક સાથેનો સંપર્ક તૂટી ગયો છે. રાજ્યમાં સેનાની ત્રણેય પાંખોની મદદથી મોટાપાયે બચાવકાર્ય ચાલી રહ્યું છે. ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થયેલા થાણે, રાયગઢ, રત્નાગિરી, સતારા, સાંગલી અને કોલ્હાપુર જિલ્લાના સાત હજારથી વધારે લોકોને બચાવવામાં આવ્યા છે. આ દુર્ઘટનાઓમાં માર્યા ગયેલા લોકોને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સરકારે પાંચ લાખ રૂપિયા અને રાજ્ય સરકારે બે લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. ચિપલૂનની કોવિડ હૉસ્પિટલના પરિસરમાં પાણી ભરાઈ ગયું છે. જેના પગલે હૉસ્પિટલમાં દાખલ આઠ લોકોનાં મોત થયા હતા. દરમિયાન મહારાષ્ટ્ર રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના અનેક ભાગોમાં પૂર અને ભૂસ્ખલનને કારણે ૭૬ લોકોનાં મોત થયા છે જ્યારે ૩૮ લોકોને ઇજાઓ પહોંચી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે હેલિકોપ્ટર દ્વારા અસરગ્રસ્ત રાયગઢ પહોંચ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી માર્ગ દ્વારા સૌથી અસરગ્રસ્ત તાલિયે ગામમાં પહોંચ્યા હતા જ્યાં ૫૦થી વધુ લોકો ભૂસ્ખલનમાં દટાઇને મોતને ભેટ્યા છે.
” આ દરમિયાન એકલા રાયગઢ જિલ્લામાં ૪૫ લોકોનાં મોત થયા છે. અલગ અલગ બનાવમાં ૧૩ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જિલ્લામાં આશરે ૪૦ લોકો ગુમ છે. રાજ્યના પશ્ચિમ અને ઉત્તર વિસ્તારોમાં ભૂસ્ખલના સમાચાર છે. પોલાડપુર તાલુકાના ગોવેલ પંચાયતમાં ગુરુવારે રાત્રે ૧૦ વાગ્યા ભૂસ્ખલન થયું હતું. જેમાં ૧૦થી વધારે ઘર પ્રભાવિત થયા હતા. ઘટનાસ્થળેથી છ મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે ૧૦ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. સતારાના કલેક્ટર શેખર સિંહે જણાવ્યું કે, પાટનમાં અનેક જગ્યાએ લેન્ડસ્લાઇડિંગ થયું છે. જે બાદમાં ૩૦ લોકો લાપતા બન્યા છે. ૩૦૦થી વધારે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. કરાડમાં ૮૦૦ લોકોને બચાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, શનિવારે સવારે બચાવ કામગીરી શરૂ થશે. કોલ્હાપુર અને સાંગલીમાં ૨૦૧૯ જેવી ખરાબ સ્થિતિથી બચવા માટે એલર્ટ આપવામાં આવ્યું છે. મંત્રી સતેજ પાટીલે કહ્યુ કે, “કોલ્હાપુરની સ્થિતિ ખૂબ ખરાબ છે. અમે સંપૂર્ણ રીતે ’કપાઈ’ ગયા છીએ. આશરે ૩૦૦ ગામને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ૨૦૧૯માં પૂરમાં ડૂબી ગયેલા ગામોમાંથી સતર્કતાને પગલે લોકોને ખસેડી દીધા છે. દરમિયાન રાયગઢમાંથી લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. બચાવકાર્યમાં એનડીઆરએફની ૨૫ ટુકડી ઉપરાંત આઠને સ્ટેન્ડબાય રખાઇ છે, ભારતીય સેના, ઇન્ડિયન કોસ્ટગાર્ડની ત્રણ-ત્રણ ટુકડીઓ, ઇન્ડિયન નેવીની સાત ટુકડીઓ અને એરફોર્સની એક ટુકડી ઉપરાંત સ્થાનિક પોલીસ અને બચાવ દળો જોતરાયા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks