ઉત્તરપ્રદેશના મેરઠ જિલ્લામાંથી અપહરણ કરાયેલી એક દલિત મહિલાને રૂરકીથી સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી. આ કેસથી રાજ્યમાં રાજકીય અશાંતિ ફેલાઈ ગઈ છે, જેમાં વિપક્ષી નેતાઓ દલિત સમુદાય સામેના ગુનાઓનો વિરોધ કરી રહ્યા છે
(એજન્સી) તા.૧૨
ઉત્તરપ્રદેશના મેરઠ જિલ્લામાં તેની માતાની નિર્દયતાથી હત્યા બાદ અપહરણ કરાયેલી ૨૦ વર્ષીય મહિલાને બચાવી લેવામાં આવી છે. આ કેસથી રાજ્યમાં રાજકીય તણાવ સર્જાયો છે, જેમાં ઘણા વિપક્ષી નેતાઓને પીડિતાના પરિવારને મળવા જતા અટકાવવામાં આવ્યા છે, જેના પગલે પોલીસ સાથે ઘર્ષણ થયું છે. સિનિયર પોલીસ અધિક્ષક વિપિન ટાડાએ જણાવ્યું હતું કે પોલીસે ઝડપથી કાર્યવાહી કરી, ગુનાના ૬૦ કલાકની અંદર આરોપીની ધરપકડ કરી અને સંકલિત બહુ-રાજ્યીય કાર્યવાહી દ્વારા અપહરણ કરાયેલી મહિલાને બચાવી લીધી છે. ટાડાએ જણાવ્યું હતું કે, ‘પોલીસે ૬૦ કલાકની અંદર આરોપીની ધરપકડ કરી અને અપહરણ કરાયેલ વ્યક્તિને બચાવી લીધી. કેસ નોંધવામાં આવ્યો હતો, અને પોલીસે તે મુજબ તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર કામગીરી માટે ૧૦થી વધુ ટીમો બનાવવામાં આવી હતી. ૪ રાજ્યોના ૭ જિલ્લાઓમાં પોલીસ દળો મોકલવામાં આવ્યા હતા’. તેમણે ઉમેર્યું કે રવિવારે મહિલાની તબીબી તપાસ કરવામાં આવી હતી અને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાં તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. પોલીસે રિમાન્ડ ઓર્ડર મેળવ્યા બાદ આરોપીને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. એસએસપીએ શાંતિ જાળવવા અપીલ કરતા કહ્યું કે, ‘બાકી રહેલા પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ સમગ્ર કાનૂની પ્રક્રિયાનું પાલન કરી રહી છે, અને તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે’.આરોપીને જેલમાં ધકેલાયોમુખ્ય આરોપી, જેની ઓળખ પારસ સોમ તરીકે કરવામાં આવી છે, તેને મેરઠની સ્પેશિયલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. કોર્ટ પરિસરને ભારે સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી અને રીતસર છાવણીમાં ફેરવવામાં આવ્યું હતું, જેમાં અનેક પોલીસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત હતા. પોલીસે જણાવ્યું હતું કે, ગુનાના લગભગ ૬૦ કલાક પછી મેરઠ અને સહારનપુર પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી બાદ શનિવારે મોડી સાંજે રૂરકીથી મહિલા અને આરોપીને શોધી કાઢવામાં આવ્યા હતા. સરધનાના કાપસદ ગામમાં મહિલાની વૃદ્ધ માતાએ પોતાની પુત્રીનું અપહરણ કરતા રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીઓએ તેની વૃદ્ધ માતાની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી હતી.
વિરોધી નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણઆ કેસથી રાજ્યમાં રાજકીય અશાંતિ ફેલાઈ ગઈ હતી. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ રામજીલાલ સુમનને પોલીસે કાપસદ ગામની મુલાકાત લેતા અટકાવ્યા હતા. સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અતુલ પ્રધાન પણ હાજર હતા અને પોલીસ કર્મચારીઓ અને પાર્ટીના કાર્યકરો વચ્ચે ઉગ્ર દલીલો અને ધક્કામુક્કી થઈ હતી. પોલીસે ગામમાં પ્રવેશ ન આપવાના કારણો તરીકે સુરક્ષા ચિંતાઓ અને ભીડ નિયંત્રણનો ઉલ્લેખ કર્યો. લાંબા વિરોધ પછી, રામજીલાલ સુમન પીડિત પરિવારને મળ્યા વિના દિલ્હી પરત ફર્યા હતા. જતા પહેલા, સાંસદે ઉત્તરપ્રદેશ સરકારની ટીકા કરી, દલિતો સામે અત્યાચારમાં વધારો થવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે રાજ્યમાં દલિતો સામે હિંસાની ઘટનાઓ વધી રહી છે અને પીડિતોને ન્યાય મળે તે માટે કડક કાર્યવાહીની માંગ કરી હતી. ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ આ ઘટનાની સખત નિંદા કરી, તેને ‘અત્યંત ક્રૂર અને શરમજનક’ ગણાવી. X પરની એક પોસ્ટમાં, તેમણે કહ્યું કે આવા ગુનાઓ સરકાર અને વહીવટીતંત્ર બંને દ્વારા સતત સતર્કતાની જરૂરિયાત પર ભાર મૂકે છે અને ઉમેર્યું કે ‘અસામાજિક અને ગુનાહિત તત્વોમાં કાયદાનો ડર હોવો જોઈએ.’ આઝાદ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ ચંદ્રશેખર આઝાદે પીડિત પરિવારને મળવાની પરવાનગી માંગીને મેરઠના કાશી ટોલ પ્લાઝા પર ધરણા કર્યા ત્યારે તણાવ વધુ વધ્યો હતો. પ્રશાસનિક પરવાનગીના અભાવે પોલીસે આઝાદ અને તેમના સમર્થકોને રોક્યા હતા. વિરોધ દરમિયાન, પોલીસે તેમની અટકાયત કરવાનો પ્રયાસ કરતાં પરિસ્થિતિ વણસી હતી, જેના કારણે અધિકારીઓ અને પક્ષના કાર્યકરો વચ્ચે તીવ્ર દલીલો અને ઝપાઝપી થઈ હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ અને SSP સાથે લાંબી વાતચીત છતાં, કોઈ ઉકેલ આવ્યો નહીં. આઝાદે આગ્રહ કર્યો કે જ્યાં સુધી બધા આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી તેઓ પોતાનો વિરોધ ચાલુ રાખશે. તેમણે વહીવટીતંત્ર પર પીડિત પરિવારને ન્યાય આપવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો અને ચેતવણી આપી કે જો કાર્યવાહીમાં વિલંબ થશે તો આંદોલન વધુ તીવ્ર બનશે.લાંબા વિરોધ પછી, ચંદ્રશેખર આઝાદને આખરે દિલ્હી પાછા મોકલવામાં આવ્યા હતા.શાંતિ માટે પોલીસની અપીલપોલીસ અધિકારીઓએ પુનરોચ્ચાર કર્યો કે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા નિયંત્રણમાં છે અને રાજકીય પક્ષો અને જનતાને તપાસમાં સહકાર આપવા વિનંતી કરી હતી.