યુનિવર્સિટી કેમ્પસમાં આંબેડકરના કાર્યો પર ચર્ચા કરવા બદલ દલિત શિક્ષકો સામે કાર્યવાહી

મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય હિન્દી વિશ્વવિદ્યાલયે સૂચવ્યું હતું કે આંબેડકર વાંચન, જે બે વર્ષ અગાઉ શરૂ થયું હતું, તે ‘(ભાગ લેનારા) વિદ્યાર્થીઓની સલામતી અને આરોગ્ય અને યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને જોખમમાં મૂકી શકે છે’

(એજન્સી) તા.૨૩
એક કેન્દ્રીય યુનિવર્સિટીએ દલિત ફેકલ્ટી સભ્યોની એક અનૌપચારિક સંસ્થાને કેમ્પસમાં ભીમરાવ આંબેડકરની કૃતિઓનું સાપ્તાહિક વાંચન અને ચર્ચાઓ અટકાવવાની ફરજ પાડી છે, સાત શિક્ષકોને કારણ દર્શાવો નોટિસ પાઠવી છે અને તેમાંથી ચાર સામે શિક્ષાત્મક પગલાં લીધા છે. મહાત્મા ગાંધી અંતરરાષ્ટ્રીય હિન્દી વિશ્વવિદ્યાલયે સૂચવ્યું હતું કે આંબેડકર વાંચન, જે બે વર્ષ અગાઉ શરૂ થયું હતું, તે ‘(ભાગ લેનારા) વિદ્યાર્થીઓની સલામતી અને આરોગ્ય અને યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને જોખમમાં મૂકી શકે છે.’ મોટા ભાગના શો-કોઝ્‌ડ શિક્ષકોએ દિલગીરી વ્યક્ત કરવાનો ઇનકાર કર્યા પછી, યુનિવર્સિટીએ તેમાંથી બેની બદલી કરી અને અન્ય બેને કેમ્પસના એક શૈક્ષણિક કેન્દ્રમાં તેમની હોદ્દા પરથી દૂર કર્યા. કેટલાક શિક્ષણવિદોએ ખુલ્લી ચર્ચાઓ, ખાસ કરીને આંબેડકરના લખાણો અને ભાષણો જેવા વિષય પર કડક કાર્યવાહી કરવા બદલ યુનિવર્સિટીની ટીકા કરી છે.
દલિત ફેકલ્ટી સભ્યોના જૂથે ફેબ્રુઆરી ૨૦૨૨માં કેમ્પસમાં આંબેડકર સ્ટડી સર્કલ ઇન્ડિયાની શરૂઆત કરી. તે દર ગુરૂવારે સાંજે ૬ વાગ્યા પછી યુનિવર્સિટીમાં આંબેડકરની પ્રતિમાની સામે મળે છે અને કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા પ્રકાશિત તેમની એકત્રિત કૃતિઓમાંથી વાંચન કરી તેના પર ચર્ચા કરે છે. રજિસ્ટ્રાર-ઈન્ચાર્જ, ધર્વેશ કથેરિયાએ આ વર્ષે જાન્યુઆરીમાં પ્રથા બંધ કરવાનો આદેશ આપ્યો ત્યારે બે વર્ષમાં લગભગ ૬૧ સત્રો યોજાયા હતા. કથેરિયાએ સાત શિક્ષકોને કારણ બતાવો નોટિસ જારી કરી હતી અને તેમને જાહેર કરવા કહ્યું હતું કે આંબેડકરની કૃતિઓ વાંચવાથી સુરક્ષાની સમસ્યા સર્જાશે અને યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને નુકસાન થશે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, અનધિકૃત જૂથ દ્વારા વાંચન સત્રો યોજવાને બદલે વર્ગોમાં સાહિત્ય શીખવવું જોઈએ. વિદ્યાર્થીઓની સલામતી અને આરોગ્ય અને યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને, આવા વાંચન સત્રનું આયોજન કરવું યોગ્ય નથી. તેમનો આરોપ છે કે જૂથે અધિકારીઓ પાસેથી પરવાનગી લીધી ન હતી. સાત શિક્ષકોમાંથી એક શિક્ષકે ખેદ વ્યક્ત કર્યો અને સ્ટડી સર્કલમાંથી રાજીનામું આપ્યું. અન્ય છ શિક્ષકોએ તેમના પ્રતિભાવોમાં, જણાવ્યું હતું કે કેમ્પસ સત્તાવાળાઓને જાણ કર્યા પછી વિવિધ શૈક્ષણિક વિભાગોના શિક્ષકો દ્વારા અભ્યાસ વર્તુળની રચના કરવામાં આવી હતી. તેઓએ લખ્યું હતું કે, તેના સત્રો સામાન્ય રીતે બંધારણની પ્રસ્તાવનાના વાંચન સાથે શરૂ થાય છે અને રાષ્ટ્રગીત સાથે સમાપ્ત થાય છે અને બધા સહભાગીઓ સ્વેચ્છાએ આવ્યા હતા. તેઓએ સુરક્ષા, યુનિવર્સિટીની પ્રતિષ્ઠા અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અંગેની ચિંતાઓને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે કોઈને પણ કોઈ સમસ્યા હોય તો તે સત્રો છોડવા માટે મુક્ત છે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, સ્થળ પરનું વાતાવરણ, ખુલ્લુ આકાશ અને આંબેડકર પ્રતિમા, સહભાગીઓને આંબેડકરના લખાણો અને ભાષણોને ખુલ્લા મનથી સામૂહિક રીતે વાંચવા અને સાંભળવા માટે પ્રેરિત કરે છે. યુનિવર્સિટીએ સાત શિક્ષકોમાંના એક શૈલેષ મારજી કદમને યુનિવર્સિટીના અમરાવતી કેમ્પસમાં અને રવિન્દ્ર બોરકરને પ્રયાગરાજ કેમ્પસમાં ટ્રાન્સફર કર્યા હતા. જે સામે બોરકરે કોર્ટમાં જઈને સ્ટે મેળવ્યો હતો. સત્તાવાળાઓએ લેલા કારૂણ્યકારાને બૌદ્ધ અભ્યાસ કેન્દ્રના ડાયરેક્ટર તરીકે અને સુરજીત કે. સિંહને તે જ કેન્દ્રના કાર્યકારી વડા તરીકે પણ હટાવ્યા હતા. કારૂણ્યકરની ઓફિસના કેટલાય નોન-ટીચિંગ સ્ટાફની પણ બદલી કરવામાં આવી છે. ગયા અઠવાડિયે કથેરિયાને એક ઈમેલ મોકલવામાં આવ્યો હતો જેમાં તેમની ટિપ્પણીઓ માંગવામાં આવી હતી પણ હજુ સુધી તેમના તરફથી કોઈ પ્રતિભાવ આવ્યો નથી.

  • બસંત કુમાર મોહંતી

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts