વિવાદી ટિ્વટ પર કોંગ્રેસ ચોમેરથી ઘેરાઇ
(એજન્સી) તા.૨૧
કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘ચાઇવાલા’ તરીકે મજાક ઉડાવીને એક નવો વિવાદ છેડ્યો છે. આજે કોંગ્રેસ પક્ષની યુવા પાંખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ અને યુકેના નેતા થેરેસા મેની તસવીર પર આધારિત મેમે પોસ્ટ કરીને એ ત્રણેય વચ્ચેની વાતને મજાક તરીકે રજૂ કરી છે જેમાં મોદી એવું કહે છે કે તમે લોકોએ જોયું કે વિરોધ પક્ષો મારા કેવા કેવા મેમે બનાવે છે ત્યારે તેમને જવાબ મળે છે કે તેને મેમે નહીં પણ મિમ કહે છે.
આ વાતચીતના આગળના ભાગમાં પીએમ થેરેસા મે કહે છે કે ‘તુ ચા વેચ’. આ ટિ્વટ બાદ વિવાદ વધી ગયો છે. વિવાદ વકર્યા બાદ ટિ્વટને તાત્કાલિક ડિલીટ કરી નાખવામાં આવ્યું હતું. પરંતુ તેના પગલે વિવાદ છેડાઇ ગયો હતો. શાસક પક્ષે જણાવ્યું હતું કે આ વાંધાજનક પોસ્ટ છે જે કોંગ્રેસનું અભિજાતવાદી માનસ દર્શાવે છે અને રોષે ભરાયેલ લોકો હવે ગુજરાતની આગામી ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જીત આપીને તેને સજા કરશે.
કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે ટિ્વટ કર્યું હતું કે, મેડમ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી હજુ પણ એવું માને છે કે ભારત પર શાસન કરવાનો માત્ર તેમને જ દૈવી અધિકાર છે. દેશ યુવા કોંગ્રેસના આ ટિ્વટ પર તમારો પ્રતિસાદ જાણવા માંગે છે કે જે શરમજનક અને ગરીબો માટે અપમાનજનક છે. તમે કદાચ ટિ્વટ ડિલીટ કરી શકો છો પરંતુ ગરીબો પ્રત્યેના તમારા વિચારો ખુલ્લા પડી ગયા છે.
કોંગ્રેસે સ્વંય આ ટિ્વટ સાથે પોતાને અલગ કરીને પક્ષના પ્રવક્તા સૂરજેવાલાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં વડાપ્રધાન અને તમામ નેતાઓના સન્માનની સંસ્કૃતિ છે. ૨૦૧૪માં પ્રચંડ વિજય પૂર્વે કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરે પક્ષની એક વિશાળ સભામાં એવું જણાવ્યું હતું કે ચાઇવાલા મોદી ક્યારેય વડાપ્રધાન બની શકે નહીં. પરંતુ જો તેઓ અહીં ચા વેચવા માંગતા હોય તો અમે તેમને વ્યવસ્થા કરી આપીશું એવું અય્યરે જણાવ્યું હતું.