(એજન્સી) અમદાવાદ, તા.ર૩
નરેન્દ્ર દાભોલકર અને ગોવિંદ પાનસરે જેવા બુદ્ધિજીવીઓની હત્યા અંગે હજુ સુધી લોકો ભૂલ્યા નથી. રાજકોટના આવા જ એક બુદ્ધિજીવી જયંત પંડ્યા, તેમની ઉપર ૩૧ જાન્યુઆરીના રોજ જે હુમલો થયો હતો, તેની પાછળ કોનો હાથ હતો તે શોધવા માટે પોલીસની નિષ્ક્રિયતા અંગે ફરિયાદ કરવા તેઓ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. છેલ્લા ત્રણ દાયકાથી વિજ્ઞાન ગાથા નામની સંસ્થા સાથે જોડાયેલા જયંત પંડ્યા અંધશ્રદ્ધા, આંધળો વિશ્વાસ જેવી બાબતોના નિવારણ પર કામ કરી રહ્યા છે. પંડ્યાએ આરોપીઓને શોધી કાઢવા માટે આ કેસની તપાસ ઉચ્ચ અધિકારીઓના હાથમાં સોંપાય તેવી માગણી કરી છે. તેઓ ભયભીત થઈ ગયા છે, કારણ કે પાછળથી તેઓ પર બ્રાહ્મણ વિરોધી અને ‘હિન્દુ-વિરોધી’ તરીકેના આરોપો મૂકવામાં આવ્યા હતા.
પંડ્યાએ જણાવ્યું કે, છેલ્લા ૩૦ વર્ષથી તેઓ ધર્મ અને દૈવી શક્તિના નામે લોકોને છેતરનારા ઢોંગીઓનો પર્દાફાશ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ઘણા સમૂહો મારા પર ‘બ્રાહ્મણ વિરોધી’ અને ‘હિન્દુ-વિરોધી’ હોવાનો આરોપ મૂકતા આવ્યા છે. આવા લોકો ગમે તેને નિશાન બનાવી શકે છે. દાભોલકર, પાનસરે અને અન્યોના મૃત્યુના ઉદાહરણો બહુ જૂના નથી અને હું નથી ઈચ્છતો કે આ યાદીમાં મારું પણ નામ સામેલ થાય.
પંડ્યા પર થયેલા હુમલા અંગેની એફઆઈઆર માલ્વીયનગર પોલીસમાં દાખલ કરાવવામાં આવી હતી. પરંતુ પોલીસની નિષ્ક્રિય કામગીરીને જોતાં તેમણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.