ગામમાં બારાત કાઢવામાં આવી ત્યારે ક્વિક રિએક્શન ટીમના ૬૦થી વધુ જવાનો અને પોલીસ કર્મચારીઓએ સુરક્ષા સાંભળી હતી
(એજન્સી)
ખેત્રી/ઝુનઝુનુ, તા.૧૭
ઝુનઝુનુ જિલ્લાના મેહરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગોવિંદદાસપુર ગામમાં ભારે સુરક્ષા હેઠળ એક દલિત વરરાજાની બારાત કાઢવામાં આવી હતી. ગામમાં બારાત કાઢવામાં આવી ત્યારે ક્વિક રિએક્શન ટીમના ૬૦થી વધુ જવાનો અને પોલીસ કર્મચારીઓએ સુરક્ષા સુનુસચિત કરી હતી, જેમાં વરરાજા રાકેશ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું ફ્રેમ કરેલું ચિત્ર પકડીને ઘોડી પર સવાર હતો. મેહરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ભજનરામે જણાવ્યું હતું કે રાકેશને બારાત કાઢવા માટે ઘોડી પર બેસવા બદલ ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ મળી હતી. તેમણે જણાવ્યું હતું કે પોલીસ કર્મચારીઓ બે દિવસ પહેલા ગામમાં દોડી ગયા હતા અને રાકેશને ધમકી આપવાના આરોપમાં કેટલાક લોકોની અટકાયત કરી હતી. રાકેશ અને તેના પરિવારને ગામના કેટલાક યુવાનોએ ધમકી આપી હતી જેમણે તેને ઘોડી પર ન બેસવાનું કહ્યું હતું. ત્યારબાદ રાકેશના પરિવારે પોલીસને આ બાબતની જાણ કરી, જેમણે ગામના અડધા ડઝનથી વધુ લોકોની અટકાયત કરી. રાકેશની બારાત કાઢવામાં આવી ત્યારે મેહરા, ખેત્રી, ખેત્રી નગર અને બાબાઈ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ગામમાં તૈનાત કરવામાં આવ્યા હતા. પોલીસ કર્મચારીઓ ઉપરાંત, ભીમ આર્મીના જિલ્લા પ્રમુખ વિકાસ આલ્હા અને રાજ્ય સચિવ રવિ મારોડિયા ગામમાં હાજર હતા. ગયા વર્ષે ડિસેમ્બરમાં, ઉત્તરપ્રદેશના બુલંદશહર જિલ્લામાં એક દલિત વરરાજાને તેની ઘોડી પરથી ઉતારી દેવામાં આવ્યો હતો અને જ્યારે તે ઉચ્ચ જાતિના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના લગ્નના વરઘોડા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પરિવારે પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે, પોલીસ કોન્સ્ટેબલ રોબિન સિંહ ૧૧ ડિસેમ્બરે દુલ્હનના ઘરે જઈ રહ્યા હતા ત્યારે પુરૂષોના એક જૂથે ઘોડાને લગામથી પકડીને તેને નીચે પટકી દીધો હતો. તેઓએ લગ્નની પાર્ટીમાં મહિલાઓ પર પથરા ફેંક્યા અને હેરાનગતિ કરી હતી. વરરાજાના પિતા નંદરામ સિંહની ફરિયાદ મુજબ, આરોપીઓએ મ્યુજિક સિસ્ટમને પણ નુકસાન પહોંચાડ્યું હતું અને પથ્થરમારામાં એક ડીજે ઘાયલ થયો હતો.