(એજન્સી) નવી દિલ્હી, તા.રર
સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા લેખક કે.પી. રામાનુન્નીએ જણાવ્યું કે કેન્દ્રની ભાજપ સરકાર હિન્દુ કટ્ટરવાદીઓ સામે કાર્યવાહી ન કરીને અપ્રત્યક્ષ રૂપે તેમને પ્રોત્સાહન આપી રહી છે. જેને કારણે લઘુમતીઓમાં અસુરક્ષાની ભાવના વધી છે. રામાનુન્નીએ એક સાક્ષાત્કારમાં કહ્યું કે કેન્દ્રની સરકાર હિન્દુ કોમવાદી આતંકવાદીઓ સામે કાર્યવાહી કરતી નથી. સરકાર આ મુદ્દે બચાવ કરી રહી છે. આ બાબત આતંકવાદને અપ્રત્યક્ષ રૂપે પ્રોત્સાહન આપનારી છે. એમણે કહ્યું કે જ્યારે લઘુમતીઓ વિરૂદ્ધ અત્યાચારની વાત આવે છે તો સરકાર કાયદા અંતર્ગત સખત પગલાં ભરતી નથી. લઘુમતીઓ અસુરક્ષિત છે.
વર્તમાન સરકાર સત્તા પર આવ્યા બાદ કોમવાદી ઘટનાઓ વધી છે ? એવા પ્રશ્નના ઉત્તરમાં રામાનુન્નીએ ‘હા’માં ઉત્તર આપતા જણાવ્યું કે વર્તમાન સરકારના સત્તામાં આવ્યા બાદ કેટલાય કોમવાદી મુદ્દા ઊભા થયા છે. તેમણે કહ્યું કે સાંપ્રદાયિક કહેવાનો એમનો અર્થ બંને પક્ષોને લાગુ પડતો નથી. મોટેભાગે હિન્દુ સમુદાય માટે છે. જેઓ મસ્લિમો સાથે અસહિષ્ણુતા વર્તી રહ્યા છે. રામાનુન્નીએ કહ્યું કે સરકાર આ કોમવાદી ઝઘડાઓને સમાપ્ત કરવાનો પ્રયત્ન કરતી નથી અને મુકદર્શકની ભૂમિકા નિભાવી રહી છે. તેમણે જણાવ્યું કે વર્તમાન સંજોગો રાષ્ટ્રહિત માટે ખરાબ છે. કોમવાદી ધૃણા કેન્સર સમાન છે.