(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.ર૦
ચૂંટણી વોર્ડ નંબર-૭માં મંજૂર થયેલા રોડના કામો કરવામાં આવતા ન હોવાથી આ વિસ્તારમાંથી ચૂંટાયેલા કોર્પોરેટરે મ્યુનિ.કમિશનરને પત્ર પાઠવી રોડના જે કામો થયા છે તે હલકી ગુણવત્તાના હોવાથી રોડ તૂટી ગયા છે. જ્યારે અન્ય મંજૂર થયેલા રોડના કામો કોન્ટ્રાકટર કરતો ન હોવાથી ઈજારો રદ કરી નવા ઈજારદારને કામ આપવા માગણી કરવામાં આવી છે.
વોર્ડ નં. ૭માંથી ચૂંટાયેલા કોંગ્રેસના કોર્પોરેટર ફરીદ કટપીસવાલાએ મ્યુનિ. કમિશનરને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, જે રસ્તા સારી હાલતમાં છે તેને ફરી બનાવવામાં આવી રહ્યા છે. દાખલા તરીકે કિર્તીમંદિર, આરાધના ટોકીઝવાળો રસ્તો, તુલસીવાડી બ્રિજથી સંગમ પાણીની ટાંકી સુધીનો રસ્તો જે ત્રણ માસ પહેલા જ બનાવાયો છે જેને ફરીથી બનાવવામાં આવ્યો છે. જે રસ્તા ખરાબ છે તે બનાવાતા નથી. આરસીબી બજેટમાં મંજૂર થયેલા રસ્તા (૧) ફતેપુરા હાથીખાના સત્યમ શિવમ સુંદરમ શાળાથી મહાવત ફળિયા ૩૬ ક્વાટર્સ મન્સુરીની કચરા પેટી સુધીનો માર્ગ મંજૂર થયેલો છે. આ માર્ગ બિસમાર હાલતમાં છે છતાં બનાવવામાં આવ્યો નથી.
કોન્ટ્રાકટરને ગરનાળા ચોકીથી ફતેપુરા ચાર રસ્તા સુધી તથા કાલુપુર વાળો રોડ ૪થી પ મહિના પહેલા બનાવ્યો હતો તે તૂટી ગયો છે. છતાં ઈજારદારને પર ટકા વધુ ભાવનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છુ. સત્તાધારી પક્ષ, અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મીલીભગતથી ઈજારો મંજૂર કર્યો છે તેવો તેમણે આક્ષેપ કર્યો છે.