માંગરોળ, તા. ૩૦
માંગરોળ તાલુકાના વડ અને ઈશનપુર ગામે તલાટીકમ મંત્રી તરીકે ફરજ બજાવતી મહિલા નિતિજ્ઞા બચુભાઈ ચૌધરીને નાંદોલા ગામનો ભુપેન્દ્ર મણીલાલ ચૌધરી ચાલુ ફરજ દરમિયાન, પંચાયત કચેરી ખાતે આવી પજવણી કરતા તેની સામે ગતરોજ માંગરોળ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.
જ્યારે આજે તા. ૩૦ના રોજ આ બનાવના તલાટી કમ મંત્રી મંડળમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને માંગરોળ મામલતદાર જી.એમ. પ્રજાપતિને, રાજ્ય તલાટી કમમંત્રી મંડળના પ્રમુખ ભરતભાઈ આહીરના નેતૃત્વમાં, માંગરોળ મંડળના હોદ્દેદારો અને સદસ્યો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે, ઉપરોક્ત જે બનાવ બન્યો છે. જેને અમો સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ. આ શખ્સ પોતાને એક ટી.વી. ચેનલનો પત્રકાર ગણાવી, તલાટી કમમંત્રીની ફરજ દરમિયાન, બિનજરૂરી કામો લઈ અવાર-નવાર, સરકારી કામગીરી તથા વિકાસના કામોમાં દખલ કરેલ છે. મહિલા તલાટી કમ મંત્રીને માનસિક ત્રાસ અને ધમકી આપે છે. ખોટી રીતે દાખલાની માગણી કરે છે. જે ન આપવામાં આવતાં વિવિધ પ્રકારની ધમકીઓ આપે છે. આ શખ્સ સામે કડકમાં કડક પગલાં લઈ આવા શખ્સની નસીયત કરવા તલાટી મંડળે માંગ કરી છે. આ બનાવ પ્રશ્ને આજે રાજ્યના વનમંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું કે, જવાબદાર સામે સરકાર કડક હાથે કામ લેશે.